ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા ઘણા વર્ષોથી રાહ જોયા બાદ રામ મંદિરના ભૂમિ પૂજનના ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા તૈયાર છે. આજે ભૂમિપૂજન બાદ રામલલ્લાના જન્મસ્થળે ભવ્ય મંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 11.40 વાગ્યે અયોધ્યા પહોંચવાના છે. આ તકે અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ શ્રીરામને પણ અલૌલિક શણગાર કરવામાં આવ્યો છે.
અયોધ્યા જિલ્લા વહીવટી તંત્રે અયોધ્યાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ સીલ કરી દીધા છે. શહેરમાં કોઈપણ વાહનને પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો. કોરોનાના કારણે વહીવટી તંત્ર વધુ સાવચેત છે અને લોકોને એક જગ્યાએ એકઠા ન થવા અપીલ કરી છે.
અયોધ્યામાં આજે સર્વત્ર રામ કિર્તન થઈ રહ્યા છે. જય શ્રી રામના નારાની ગુંજ અયોધ્યા નગરીમાં સંભળાઈ રહી છે. સંતો-મહંત પણ રામધૂન કરી રહ્યા છે. અયોધ્યાનું વાતાવરણ આજના દિવસ રામમયી થઈ ચુક્યું છે.

