જમ્મુ-કાશ્મીરમાં વેપારીની હત્યાનો પ્રયાસ કરનારો આતંકવાદી ઠાર થયો હતો. આ આતંકવાદી બિહારના બે મજૂરોની હત્યામાં પણ સંડોવાયેલો હતો. બીજી તરફ પૂંછ જિલ્લાના મેંઢરના જંગલમાંથી પોલીસે હુમલાના ષડયંત્રમાં સામેલ થયેલા ૨૦ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કરી દીધો હતો.
આ આતંકવાદી વેપારીની હત્યાનો પ્રયાસો કરતો હતો એ વખતે જ ગોળીએ દેવાયો હતો. પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે જાવેદ અલ વાહી નામનો આતંકવાદી વેપારીની હત્યા કરવાનો હતો. એ પહેલાં જ તેને ઠાર કરવામાં આવ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આ આતંકવાદી જ અગાઉ બે બિહારી મજૂરોની હત્યામાં સંડોવાયેલો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાનની બનાવટની બંદૂક અને મેગેઝિન મળી આવ્યા હતા. આતંકવાદી કુલગાઁવ જિલ્લામાં રહેતો હતો અને ઘણાં સમયથી પોલીસના હિટ લિસ્ટમાં હતો.
બીજી તરફ પૂંછ જિલ્લાના મેંઢર નજીકના જંગલોમાંથી પોલીસે હુમલાનું ષડયંત્ર ઘડતાં ૨૦ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. બાતમીના આધારે પોલીસે આખા જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ વખતે જ આ આતંકવાદીઓનો પર્દાફાશ થયો હતો. ચારેબાજુથી ઘેરાયેલા આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા હતા. હુમલાના ષડયંત્રમાં સામેલ ૨૦ આતંકવાદીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે એવું અહેવાલોમાં કહેવાયું હતું.

