Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat weather forecast today: ગુજરાતમાં એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક (રાત્રે 10 વાગ્યા સુધી) માટે રાજ્યના અડધા ડઝનથી વધુ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

ક્યાં કયું એલર્ટ અપાયું?

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાત્રે 10 વાગ્યા સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, દાહોદ અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેના પગલે આ વિસ્તારોમાં 'રેડ એલર્ટ' અપાયું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, અરવલ્લી, તાપી અને ડાંગ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે.

24 કલાકમાં 225 તાલુકામાં મેઘમહેર

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી 8 ઈંચથી વધુ વરસાદ સાથે મોખરે રહ્યું છે. આ ઉપરાંત પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તમને જણાવી દઈએ કે, 7 જુલાઈ 2026 સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ પડ્યો છે.

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

તંત્ર એલર્ટ મોડ પર: 347 રસ્તાઓ બંધ

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં 4 નેશનલ હાઈવે અને 4 સ્ટેટ હાઈવે સહિત કુલ 347 રસ્તાઓ હજી પણ વાહનવ્યવહાર માટે બંધ છે. જળાશયોમાં પાણીની ભારે આવક થતાં 11 ડેમ 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં NDRF ની 12 અને SDRF ની 27 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દરિયામાં ભારે કરંટ અને પવનની શક્યતા જોતા માછીમારોને 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita