એકદંતાય વક્રતુંડાય ગૌરીતનાય ધીમહિ
'ગણપતિ બાપ્પાના આગમનથી 'અબતક' આંગણે ભક્તિમય માહોલ, 11 દિવસ સુધી થશે દાદાની આરાધના
ગજાનન બાપ્પાના મહોત્સવનો આજે દેશભરમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. વિઘ્નહર્તા દેવ ગણપતિના આગમન સાથે 'અબતક' મીડિયા હાઉસના આંગણે પણ દુંદાળાદેવની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભવ્ય પધરામણી કરવામાં આવી હતી.
સવારના શુભ ચોઘડિયામાં વિધિવત પૂજા-અર્ચના સાથે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવતા સમગ્ર પરિસર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.'અબતક' પરિવારના સભ્યો સાથે અબતકના મોભી તથા મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાએ બાપ્પાની આરતી ઉતારી હતી. સ્ટાફ પરિવાર ભક્તિભાવમાં લીન બન્યો હતો અને સમગ્ર વાતાવરણ ગજાનનની સ્તુતિ તથા જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.
'અબતક' પરિવાર દ્વારા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ગણપતિ મહોત્સવની આ પરંપરા શ્રદ્ધાપૂર્વક જાળવવામાં આવી રહી છે. પરિવારના કર્મયોગી સ્વ. લક્ષ્મણભાઈ સાગઠીયાએ વર્ષો અગાઉ આ પરંપરાનો પ્રારંભ કર્યો હતો. આજે પરિવારના સભ્યો વધુ આસ્થા, સમર્પણ અને ભક્તિભાવ સાથે આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.આગામી 11 દિવસ દરમિયાન 'અબતક' પરિવાર દ્વારા ગણપતિ બાપ્પાની ભક્તિભાવપૂર્વક આરાધના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવશે. બાપ્પાના આશીર્વાદથી સૌના જીવનમાંથી વિઘ્નો દૂર થાય તથા સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે પરિવાર દ્વારા આરાધના કરવામાં આવશે.ગણપતિ બાપ્પાની પધરામણીને લઈને 'અબતક' પરિવારના સભ્યોમાં ખાસ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. દુંદાળાદેવના આગમનથી 'અબતક'નું સમગ્ર આંગણું ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભક્તિ, પરંપરા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા આ આયોજનથી 'અબતક' પરિવાર માટે આજનો દિવસ યાદગાર બની રહ્યો છે.

