જેસિંગપરાના પુલપર બાઇક ચાલક વૃદ્ધનું અને ગાવડકા પાસે બસ અને કાર વચ્ચે ટક્કરમાં બેના મોત
અમરેલી અલગ - અલગ બે માર્ગ અકસ્માત થયા છે. જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જેસિંગપરાના પુલ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું અને ગાવડકા ચોકડી પાસે કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહિલા અને આશાસ્પદ યુવાન મોતને ભેટ્યા હતા.
કેરિયા કેરિયાચાડ ગામના નનુભાઈ બાલુભાઈ ચોવટિયા (ઉં.વ.73) અને તેમની પત્ની મંજુલાબેન નાનુભાઈ ચોવટીયા પોતાનું GJ 14 SH 3894 નંબરનું બાઇક લઈ ગઈ કાલે સાંગાડેરી ગામે તેમના સાળાના ઘરે ગયા હતા. ત્યાંથી ગઈ કાલે વહેલી સવારે પરત પોતાના ઘરે જતાં હતા, ત્યારે અમરેલીના જેસિંગપરા પુલ પર સામેથી આવી રહેલી કાળમુખી GJ-33T 4594 નંબરની મીની ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નનુભાઈ ચોવટિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની મંજુલાબેનને પણ ઇજાઓ પહોચતા સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા. હજી આ ઘટનાના લોહી રોડ પરથી સૂકાયા નહોતા ત્યાજ બીજી ઘટના બપોરબાદ ગાવડકા ચોકડી પાસે ઘટી હતી જેમાં બગસરામા કુકાવાવ જકાત નાકા પાસે રહેતા 28 વર્ષના અભય મુકેશભાઈ હીરપરા તેમની માતા કલ્પનાબેન મુકેશભાઈ હીરપરા (ઉં.વ.58) અને હિત અતુલભાઈ (ઉ.વ.12) સહિત તેની GJ-4-AP 3759 નંબરની સ્વિફ્ટ કાર લઈ આવતા હતા તે દરમિયાન ગાવડકા ગામ પાસે સામેથી કાળ બનીને આવતી GJ-18-Z-7673 નંબરની માંગરોળ અમરેલી એસટી બસ સાથે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.
જેના કારણે કાર ચાલક અભયભાઈ હીરપરા કારમાજ ફસાઈ ગયા હતા. જેને ફાયર વિભાગની ટીમે અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને કારના પતરા કાપી અંદર ફસાયેલા યુવાનને બહાર કાઢ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. તેમજ સાથે તેઓની માતા કલ્પનાબેન હીરાપરનું પણ આ અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે 12 વર્ષના હિતને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો છે. આ અંગે અમરેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

