નવી દિલ્હીમાં પીએમ મોદી અને જાપાનના પીએમ સનાઈ ટકાઈચી વચ્ચે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સનાઈ ટકાઈચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે આર્થિક, ઉર્જા અને વૈશ્વિક સુરક્ષાને આવરી લેતું એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
ભારતની વિકાસયાત્રામાં જાપાનની ભાગીદારીને બિરદાવતા પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જાપાનનું આર્થિક અને તકનીકી રોકાણ ભારતના વિકાસના હોંસલાને ચરમસીમાએ પહોંચાડશે.
બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રે થયેલી ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ ક્વાડ (ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા) ફ્રેમવર્ક અંતર્ગત થઈ રહેલી સ્થિર પ્રગતિને આવકારી હતી અને આગામી 'ક્વાડ લીડર્સ સમિટ' વહેલી તકે યોજવા માટે પોતાની પ્રતિબદ્ધતા પુન:ઉચ્ચારી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિટની ચોક્કસ તારીખો કે સ્થળ હજુ નક્કી થયા નથી, પરંતુ જાપાનની તીવ્ર ઈચ્છા છે કે ભારત આ મહત્વપૂર્ણ સમિટની યજમાની કરે.
ભારત માટે રાજદ્વારી સ્તરે આ બેઠક એક મોટી સફળતા લઈને આવી છે. ગયા વર્ષે ટોક્યોમાં યોજાયેલી સમિટથી વિપરીત, આ વખતના સંયુક્ત નિવેદનમાં સીધું જ પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું છે. બંને વડાપ્રધાનોએ સરહદ પારથી થતા આતંકવાદ સહિત તમામ પ્રકારના હિંસક કટ્ટરવાદની સખત શબ્દોમાં નિંદા કરી છે. નિવેદનમાં તાજેતરમાં થયેલા પહલગામ આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો જેવા કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
ભારત અને જાપાન બંને દેશો પોતાની ઉર્જા (ખનિજ તેલ) પુરવઠા માટે હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના વૈશ્વિક દરિયાઈ માર્ગ પર ભારે નિર્ભર છે. તેથી, આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર વાણિજ્યિક જહાજોની અવરજવરમાં અવરોધ ઊભો કરતા કોઈપણ પ્રતિબંધાત્મક પગલાંનો બંને દેશોએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત, બંને દેશો 'વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત' ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા સંમત થયા છે. જાપાને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી માં ભારતના કાયમી સભ્યપદ માટે પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
જાપાનના વલણને મજબૂત ટેકો આપતા ભારતે પૂર્વ ચાઈના સી અને સાઉથ ચાઈના સી (દક્ષિણ ચીન સાગર) ની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બંને દેશોએ વિવાદિત દરિયાઈ વિસ્તારોમાં વધી રહેલા સૈન્યીકરણ સામે ગંભીર વાંધો ઉઠાવતા સ્પષ્ટ કર્યું કે, કોઈપણ દેશે બળપ્રયોગ અથવા ધાકધમકી દ્વારા વર્તમાન સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. તમામ દરિયાઈ વિવાદોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીન દ્વારા તાઇવાન મુદ્દે જાપાની કંપનીઓ પર લાદવામાં આવેલા આર્થિક નિકાસ નિયંત્રણો અંગે પણ બંને નેતાઓ વચ્ચે ઊંડી ચર્ચા થઈ હતી.

