મેસન ક્લબ સોસાયટીનો સંચાલક પરિવાર અને પોલીસ આમને-સામને
'અબતક' સાથેની ટેલિફોનિક વાતચીતમાં વિરપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એ ડી પરમારે અનેક ઘટસ્ફોટ કર્યા
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકે વિરપુરમાં રહી ટિફિન સર્વિસ ચલાવતી મહિલાને રૂ. 2.50 લાખનું ધિરાણ આપી અલગ અલગ 20 કોરા ચેક પડાવી લીધા હતા.
બાદમાં અલગ અલગ સાત ચેકમાં રકમ ભરી બાઉન્સ કરાવી ચેક રિટર્નના સાત કેસ કરી મંડળી સંચાલક આણી ટોળકીએ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ વિરપુર પોલીસ મથકે નોંધાઈ હતી. જે મામલે આરોપીના ઘરે ગયેલી પોલીસે તોડફોડ કરી મંડળી કર્મચારીઓને ગોંધી રાખ્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે વિરપુર પોલીસની ટીમે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે તેમજ આરોપીના ઘરેથી ફક્ત અલગ અલગ લેણદારના સહી કરેલા કોરા સ્ટેમ્પ પેપર મળી આવ્યાનું પોલીસે જણાવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો વિરપુર ગામે રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા જીજ્ઞાબેન સુધીરભાઈ નિમાવતે વર્ષ 2019માં મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટીક્રમાંથી રૂ. 2.50 લાખની લોન લીધી હતી. કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થતાં તેઓ બાકીના નાણાં ભરી શક્યા ન હતા. આ તકનો લાભ ઉઠાવી મંડળીના ડિરેક્ટર પરાગ સોલંકી અને મેનેજરોએ ધિરાણ વખતે પડાવી લીધેલા ગેરંટર સહિતના કોરા ચેકોમાં લાખો રૂપિયાની રકમો ભરીને રાજકોટની અદાલતોમાં નેગોશિયેબલના કેસો કરી દીધા હતા.
લોનની રકમ નહિ ભરવા લેણદારે ખોટી ફરિયાદ કર્યાનો વળતો આક્ષેપ
સમગ્ર ઘટના મામલે રાજકોટમાં રૈયા રોડ પર આવેલ મેસન ક્લબ ક્રેડિટ કો-ઓપરેટિવના ચેરમેનના ઘરે તોડફોડ કર્યાનો પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળી સંચાલકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પિતા પરાગ સોલંકી રાજકોટની મેસન ક્લબ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં પોતાની ફરજ બજાવે છે. વર્ષ 2019માં તેઓએ વીરપુરના એક યુવકને લોન આપેલી હતી. આજે સાત વર્ષ પછી પણ તેઓ લોન ભરપાઈ કરતા નથી, જેથી મારા પિતાએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.હાલ કોર્ટમાં આ બધા કેસો પેન્ડિંગ છે અને હવે તે નિર્ણાયક તબક્કા અંતિમ ચુકાદા પર આવી ગયા હોવાથી સામાવાળા લોકો હતાશ થઈ ગયા છે. આ જ કારણસર તેઓ પોલીસમાં અમારી વિરુદ્ધ ખોટી રજૂઆતો, ખોટી અરજીઓ અને ફરિયાદો કરી રહ્યા છે. તેઓ અમને સખત માનસિક ત્રાસ આપીને હેરાન કરે છે, જેથી કરીને અમે તેમની લોન માફ કરી દઈએ. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પબ્લિકના પૈસા ડૂબાડવાનો છે.
સ્ટાફને ઓફિસમાં ગોંધી રાખ્યા, કબાટના લોક તોડી નાખ્યા પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ
પરિવારજનોએ તેવા પણ આક્ષેપ કર્યા છે કે, વિરપુર પોલીસની ટીમ અમારી ઓફિસ અને ઘરે આવી હતી ત્યારે અમારા સ્ટાફને ઓફિસમાં જ ગોંધી રાખ્યા અને એક પ્રકારે બંધક બનાવી લીધા હતા. વધુમાં કબાટના લોકર તોડી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પરાગ સોલંકીના પરિજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા પીઆઈની સ્પષ્ટતા
તોડફોડ કરાઈ નથી, કબ્જે કરાયેલા મુદ્દામાલનો સીઝર મેમો અપાયો, 112 ની ટીમની હાજરીમા તમામ પ્રક્રિયા કરાઈ
સમગ્ર આક્ષેપને વિરપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એ.ડી.પરમાર દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.પીઆઈ એ. ડી. પરમારે 'અબતક' સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસના ભાગરૂપે જેતપુર પોલીસ અને વીરપુર પોલીસની સંયુક્ત ટીમે મહિલા પોલીસને સાથે રાખી કાયદેસરની પ્રક્રિયા હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરિવાર દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને જેતપુર પીઆઈ એ. ડી. પરમારે સદંતર ફગાવી દીધા છે અને પીઆઇ એ સ્પષ્ટ કહ્યું કે, કોઈને જ પ્રકારની તોડફોડ નથી કરી પરંતુ પરાગ સોલંકી સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો છે. તે કામે આરોપીની ધરપકડ કરવા તથા તેના ઘરની ઝડતી લેવા ગયા હતા. તપાસના કામે જે જરૂરી ડોકયુમેન્ટ હતા તે કબજે લઈ સીઝર મેમો પણ આપેલ છે. બીજીતરફ રહી વાત ગીની અને રોકડની તો પોલીસ લઈ ગઈ હોય તો તેના પુરાવવા સાબીત કરાવી ગુનો દાખલ કરાવી શકે છે. અમે જયારે તેના ઘરમાં હતા.ત્યારે આરોપીના પરિવારે 112 બોલાવેલી હતી.તો ત્યારે આ કંઈ વાત કરી ન હતી. 112 આવી હોવા છતાં આરોપી પરાગ હાજર રહ્યો ન હતો. પોલીસ માત્ર કાયદાના દાયરામાં રહીને આરોપીના ઘરે તપાસ અર્થે જ ગઈ હતી. બેંકના લોકર તોડવાના કે કર્મચારીઓને ગોંધી રાખવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે.
ઝડતીનો ઠરાવ કરી, પરિવારજનોને જાણ કરી પોલીસે તપાસ શરૂ કરી'તી 112 હેલ્પલાઇનની ટીમ પણ સ્થળ પર હાજર હતી
આરોપીની ઓફિસમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા, છેતરપિંડીના ઇરાદે રખાયેલા સહી કરેલા કોરા સ્ટેમ્પ પેપર કબ્જે કરાયા
'મીડિયાને પણ ગુમરાહ' કરવા આરોપીના
પરિવારજનોનો 'હીન' પ્રયાસ
પોલીસ કોઈપણ વૉરંટ કે પુરાવા વગર ખાનગી ઘરમાં ઘૂસી, કબાટ-લોકર તોડ્યા હોવાના પરિવારજનોનો આક્ષેપ
પોલીસે ઘરના એક સભ્યનો કાઠલો પકડીને મારપીટ કરી હોવાનો આક્ષેપ
પરાગ સોલંકીનો ભૂતકાળ દાગદાર દુષ્કર્મથી માંડી ઠગાઈ સુધીના ગુના
વધુમાં પીઆઈ એ ડી પરમારે જણાવ્યું હતું કે, પરાગ સોલંકી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેનો ભૂતકાળ પણ દાગી રહ્યો છે. તેની સામે અગાઉ પોતાની જ સંસ્થાની મહિલા કર્મચારી પર બળાત્કાર ગુજારવાનો ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, પરાગ સોલંકી અને તેની મંડળીના ત્રાસથી કંટાળીને સંસ્થાના 2 સભાસદોએ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાયેલી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.

