Dailyhunt
મહાપાલિકાનો સંવેદનશીલ નિર્ણય: પંચાસર રોડના રહેવાસીઓના હિતમાં ડિમોલીશનનો આદેશ પરત ખેંચાયો

મહાપાલિકાનો સંવેદનશીલ નિર્ણય: પંચાસર રોડના રહેવાસીઓના હિતમાં ડિમોલીશનનો આદેશ પરત ખેંચાયો

અબતક 2 weeks ago

હેવાસીઓ માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા બાદ ડિમોલીશન કરાશે : કમિશનર સ્વપ્નિલ ખરેની ખાતરી

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસની સાથે માનવીય મૂલ્યોને પ્રાધાન્ય આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાસર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીના ડિમોલિશન મુદ્દે ઉદ્ભવેલા વિવાદમાં મહાપાલિકાએ નમ્રતા દાખવી છે અને 115 પરિવારોના હિતમાં જૂનો આદેશ પરત ખેંચી લીધો છે.

ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રજૂઆતો બાદ તંત્રએ રહેવાસીઓને સાંભળવાની અને યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.

મોરબીના પંચાસર રોડ પર 115થી વધુ પરિવારો દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે. તાજેતરમાં મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરવા અને દબાણ હટાવવા માટે સાત દિવસની નોટિસ આપવામાં આવી હતી. આ આદેશને પગલે ગરીબ શ્રમિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી, કારણ કે તેમને વૈકલ્પિક રહેઠાણની કોઈ ખાતરી આપવામાં આવી નહોતી. આખરે રહેવાસીઓએ કાયદાકીય માર્ગ અપનાવી ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી.

હાઈકોર્ટમાં રહેવાસીઓ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ કોઈ 'નવા દબાણકર્તા' નથી.1979માં મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે આવેલી મહા હોનારત સમયે પણ સરકાર દ્વારા આ રહેવાસીઓની નોંધ લેવામાં આવી હતી.2020 થી 2023 દરમિયાન જ્યારે પંચાસર રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ, ત્યારે આ શ્રમિકોએ સામે ચાલીને પોતાના કાચા-પાકા મકાનોના એ ભાગો તોડી પાડ્યા હતા જે રસ્તામાં નડતા હતા. તેમણે ક્યારેય શહેરના વિકાસમાં અવરોધ ઊભો કર્યો નહોતો.

કેસની સુનાવણી દરમિયાન મોરબી મ્યુનિસિપલ કમિશનરે અત્યંત હકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે:પાલિકા દ્વારા અગાઉ આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસ તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે છે.તંત્ર દ્વારા રહેવાસીઓના તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓ (જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના) હેઠળ આ પરિવારોને વૈકલ્પિક રહેઠાણ ફાળવી શકાય કે કેમ, તે અંગે વિસ્તૃત અભ્યાસ કરી નવો અને ન્યાયી આદેશ આપવામાં આવશે.

મહાપાલિકાના આ નિર્ણયથી પંચાસર રોડના શ્રમિક પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રહેવાસીઓએ તંત્રના આ નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે, “અમે વિકાસના વિરોધી નથી, માત્ર અમારા બાળકોના માથે છત રહે તેટલી જ અમારી માગ છે.”

મોરબી મહાપાલિકાનો આ નિર્ણય એ સાબિત કરે છે કે વહીવટી તંત્ર માત્ર નિયમોથી જ નહીં, પણ સંવેદનાથી પણ ચાલે છે. જ્યારે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે, ત્યારે જ શહેરનો સાચો વિકાસ શક્ય બને છે. હવે આગામી દિવસોમાં આ પરિવારોને કાયમી ઘર મળે તેવી આશા પ્રબળ બની છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak