ભાવનગરના યાત્રાળુઓ દ્વારકા દર્શન કરી, સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે નીલ ગાય આડી ઊતરતા સર્જાયો અકસ્માત: 25 યાત્રાળુ ઘવાયા
જૂનાગઢના માંગરોળ નજીક કાળમુખી બની આવેલ નીલ ગાયને બચાવવા જતા એક ખાનગી બસ પલટી ખાઈ જતા, આ ગમખ્વાર ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જેમાંથી 7 લોકોને વધુ ઈજા થતાં જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 3 વ્યક્તિઓની હાલત ગંભીર મનાઈ રહી હતી.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક રહીજ ગામે અંદાજે 25 થી વધુ યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી બસ નં. જીજે – 04 – એએક્ષ – 3428 ના આડે રોડ પર ઓચિંતા એક નીલ ગાય આડી પડતા, આ નીલ ગાયને બચાવવા જતા, ખાનગી બસના ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, અને બસ રોડ ઉપરથી પલટી મારી ગઈ હતી, આ અકસ્માત સર્જાતા બસમાં બેસેલા યાત્રાળુઓ ચગદાયા હતા અને રોડ યાત્રાળુઓના ચીસાચીસુથી ગાજી ઉઠ્યું હતું.
ભાવનગરની ખાનગી બસમાં લગભગ 40 જેટલા યાત્રાળુઓ દ્વારકા અને હર્ષદ માતાજીના દર્શન કરી, ખાનગી બસ સોમનાથ ખાતે આવી રહી હતી, ત્યારે રહીજ ગામ નજીક માર્ગ પર અચાનક નીલગાય આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને આ ભયાનક દુર્ઘટના સર્જાતા 2 મહિલા યાત્રાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ આ અકસ્માતમાં નીલ ગાયનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે 25ને નાની-મોટી અને ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી.
મૃતક તેજુબા ગંભીરદાન ખડિયા (રહે. મોરબી) તથા જશુબેન ખોડીદાસ મકવાણા (રહે. ભરત નગર, ભાવનગર) ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તથા આ ઘટનામાં માંગરોળ મરીન પોલીસમાં બસ ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

