પતિએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા આઘાતમાં મહિલાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં 25 વર્ષીય પરણિતાએ પોતાના પતિના મોતના આઘાતમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે બરાબર એક મહિના પહેલા જ તેના પતિએ આપઘાત કર્યો હતો, જેના વિરહમાં યુવતીએ પણ આ અંતિમ પગલું ભરી લીધું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 'એ-3 પાટીદાર રેસિડેન્સી'માં રહેતી અને વ્યવસાએ સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરતી કૃતિબેન લાલજીભાઇ રંગાણી (ઉં.વ.
25)એ ગત સાંજે પોતાના ઘરે કોઈ અજાણ્યો ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે ફરજ પરના તબીબ ડો.
સાવન છત્રોલાએ તેણીને મૃત જાહેર કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, કૃતિબેનના લગ્ન હજુ ત્રણ મહિના પહેલા જ થયા હતા. તેણીના પતિ ડિસ્ટ્રિબ્યુશનનું કામકાજ કરતા હતા. કોઈ અગમ્ય કારણોસર બરાબર એક મહિના પહેલા એટલે કે 20 એપ્રિલના રોજ કૃતિબેનના પતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
પતિના વિરહમાં ગઈકાલે પતિના મોતને બરાબર એક મહિનો પૂરો થતો હોય, તેના જ વિરહમાં કૃતિબેને પણ ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. મૃતક કૃતિબેન પરિવારમાં એક ભાઈથી નાના હતા અને સોફ્ટવેર ડેવલોપર તરીકે ઉચ્ચ શિક્ષિત હતા. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના ચોકી સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એસ. ચૌહાણ ચલાવી રહ્યા છે. એક જ મહિનામાં યુવાન જોડાના મોતના પગલે પાટીદાર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

