પત્નીને અનૈતિક સંબંધ હતો, તેનો પ્રેમી, સાસરિયા છૂટાછેડા આપી દેવા ધમકીઓ આપતાં'તા : યુવાનની સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોંધાયો
ઓમનગર સર્કલ નજીક રહેતા બાંધકામના ધંધાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો'તો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ઓમનગર સર્કલ પાસે પટેલનગરમાં રહેતા બાંધકામ ધંધાર્થીના આપઘાત પ્રકરણમાં મૃતકની સુસાઇડ નોટ મળતા તાલુકા પોલીસની ટીમે પત્ની અને તેના પ્રેમી, સાસુ-સસરા, સાળી, સાઢુ વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પતિએ પત્નીના અનૈતિક સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.
મામલામાં વાંકાનેરના જોરાવર દરગાહ નજીક પ્રતાપપરા શેરી નં-ર માં રહેતાં શિતલબેન અજયભાઈ રાઠોડ (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જાનકીબેન બીપીન કારેલીયા, બીપીન અમૃત કારેલીયા, કપિલાબેન બીપીન કારેલીયા, જીલ દિવ્યેશ પિત્રોડા, દિવ્યેશ નીતિન પિત્રોડા અને યોગેશ સોલંકી (રહે. તમામ રાજકોટ) નું નામ આપતા તાલુકા પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. તેઓ કુલ ચાર બહેન તથા એક ભાઈ છે. જેમા સૌથી મોટી બહેન તેજલબેન તથા તેનાથી નાની બહેન પોતે અને સૌથી નાનો ભાઈ પાર્થ જે ગળેફાસો ખાઇ મરણ ગયેલ છે. તેઓના નાના ભાઈ પાર્થના લગ્ન વર્ષ 2018 મા જાનકીબેન કારેલીયા સાથે થયેલ હતા. શરૂઆતમાં તેનો લગ્નજીવન સરખુ ચાલતુ હતુ. બે વર્ષ બાદ ભાઈ અવાર નવાર ફોન કરી કહેતો કે, મારી પત્ની જાનકી મારી ઉપર શંકા કરે છે અને મને કોઇ જગ્યાએ બહાર આવવા જવા દેતી નથી, જેથી અમારે અવાર નવાર ઝધડા થાય છે અને મારી પત્નીને અન્ય વ્યક્તી સાથે આડા સબંધ છે, એટલે હવે તેને મારી સાથે રહેવુ નથી તેવી વાત કરેલ હતી.
બાદ જાનકી ઝઘડો કરતી ત્યારે પાર્થના સસરા તથા સાસુ જાનકીને પિયર તેડી જતા હતા. જેથી સગા-સબંધીઓ દ્વારા તેમને સમજાવતા જાનકી પરત ભાઇ સાથે રહેવા આવી જતી હતી. દરમિયાન ભાઈ સાથે જાનકીને અવાર નવાર ઝધડા થતા હોય જેથી ઓકટોબર 2024 મા જાનકી પોતાના પિતાના ઘરે રિસામણે જતી રહેલ હતી. બાદ જાનકીએ જુલાઇ 2025 મા ફેમેલી કોર્ટમા છુટાછેડા માટે કેસ કરેલ જે કોર્ટમા ચાલુ છે. ગઇ તા.17/07/2026 ના ફરીયાદી ઘરે હતી. ત્યારે સાંજના નાની બહેન વર્ષાબેનનો ફોન આવેલ કે, અત્યારે નાના ભાઈ પાર્થનો ફોન આવેલ હતો અને કહેતો કે, મને તારૂ તથા ભાણેજ ધનનુ મોઢુ બતાવી દે, મારે તમારા મોઢા જોઈ સ્યુસાઇડ કરી લેવુ છે તેવી વાત કરેલ હતી. બાદ ગઈ તા.18 ના સવારના તેણીએ નાના ભાઈ પાર્થને ફોન કરેલ પરંતુ ભાઈએ ફોન ઉપાડેલ નહિ. જેથી આ બાબતે તેણીએ તેના પતિને વાત કરેલ કે, મારો ભાઈ પાર્થ ફોન ઉપાડતો નથી. જેથી બંને રાજકોટ આવેલ પરંતુ ભાઈ પાર્થની કોઈ ભાળ મળતી ન હોય જેથી નજીકના માલવીયાનગર પોલીસ સ્ટેશનમા પિતા ભગવાનજીભાઇએ આ બાબતે ગુમ ફરિયાદ કરેલ હતી.
તા.20 જુલાઈના કાકા ચંપકભાઈનો ફોન આવેલ કે, નાના ભાઈ પાર્થએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરેલ છે. બાદ ગોંડલ ખાતે ભાઈની અંતીમવીધી કરેલ હતી. તે સમયે જાણવા મળેલ કે, તબીબને પી.એમ. દરમ્યાન નાના ભાઈની ડેડબોડી પરથી સ્યુસાઇડ નોટ મળેલ છે, જેનો સબંધીના ફોનમા ફોટો હોય જે વાચી જોતા તેમાં અંગ્રેજીમા લખેલ હતુ કે, હું પાર્થ બી. પિત્રોડા, મને સુસાઇડ કરવા માટે મજબુર કર્યો છે, મને સુસાઇડ કરવા માટે મારી વાઇફ જાનકી, મારા ફાધર ઇન લો બિપીનભાઈ, મધર ઇન લો કપિલાબેન, સાળી જીલ તેમનો હસબન્ડ દિવ્યેશ આ ચાર પર્સન ભેગા મળી પેલા મને બધી રીતે હેરાન કર્યો છે. મારા યશુદાદા પણ મને ન્યાય અપાવજે, મારા ભાઈ તુષા2 પરમાર એન્ડ પ્રશાંત પિત્રોડા હું મરતો ન હતો ભાઇ, તમારુ પણ સામે મારી આવીયુ ત્યારે ખબર પડી, ડોન્ટ વરી હું હંમેશા તમારી સાથે છુ ખાલી સામેથી ગયો છુ, બાકી તમે યાદ કરશો ત્યારે હુ આવી જઈશ અને મારો દેવલો તારા લગનમાં હું આવીશ હો, હંમેશા સાથે છું, માય હીરાદીદી, માય બીનુ, માય ઘન અને રોહીતકુમાર જ મારું બધુ કરશે. મારો કેસ કોઇ પાછો ખેંચી લો કે સમાઘાન કરી નાંખો તેવું ના કરતા, નહિતર હું તેને નડીશ તેવુ સ્યુસાઇડ નોટમા લખેલ હતુ.
હું જીવવા જ માંગતો હતો પણ આ લોકોએ મને જીવવા જેવો ન રાખ્યો, એસપી-પીઆઈ સર મને ન્યાય અપાવજો
યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મોબાઈલમાં બધા રેકોડીંગ છે, મને ખોટા કેસમાં પણ ફસાવી દીધો તો, આ બધુ મારા ફોનમાં છે બાકી મારા ફેમીલીને આમની બધી જ ખબર છે. એસપી, પીઆઈ સર આઈ રીકવેસ્ટેડ ફોર યુ 'આઈ હેવ સીન જસ્ટિસ સર, હું જીવવા જ માંગતો હતો પણ આ લોકો મને જીવવા જેવો જ ના રહેવા દીધો. આ પાંચ લોકોએ મારા સમાજમાં, મારા બિઝનેસમાં સર બધી જગ્યાએ મારી આબરુ કાઢી નાખી છે. 'સો સર પ્લીસ આઈ હેવ હાર્ટલી રિકવેસ્ટ ફોર યુ' આ લોકો પોલીસના બધા કોન્ટેક્ટ કરશે પણ તમે મને ન્યાય અપાવજો.
જાનકીએ તેના પ્રેમીને કોન્ફરન્સ કોલમાં લીધો, યોગેશે મને કહ્યું તું છૂટાછેડા આપી દે નહીંતર તને મારી નાખીશ
તુ મરી જા, અમારૂ નામ લખતો જાજે, અમને કાંઈ જ નહી થાય તેમ કહી પત્ની અને સસરા દુષ્પ્રેરણા કરતા
મૃતકે આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં આપવીતી જણાવતા કહ્યું હતું કે, મારા મેરેજને 7 વર્ષ થયા છે. મારે અને જાનકીને કઈ પણ થયું હોય તો સસરા આવીને એમને તેડી જાય, 7 વર્ષમાં 6 વાર તેડી ગયા છે અને હવે મારા સસરા બધા માથા ભારે માણસો પાસે ફોન કરાવે છે. હુ જાનકીને જ લવ કરતો હતો એટલે હુ એને ભુલી શકતો ન હતો. જાનકીને છેલ્લા 2 વર્ષથી લફડા હતા અને છેલ્લે યોગેશ સોલંકીને કોન્ફરન્સમા રાખી કહેલ કે, તુ ડીવોર્સ આપ બાકી તને મારી નાખીશ. મે બધી ટ્રાય કરી કે જાનકી જે હોય એ, તુ આવી જા પણ મારો સાળો મને બહું જ હેરાન કરતો તો, છેલ્લે જાનકી બોલી તુ મરી જા મારૂ નામ લખતો જાજે, મને કાંઈ જ નહી થાય, મારા સસરા પણ સાથે હતા, એ પણ બોલ્યા કે, તુ મરી જા અમને કાંઇ જ નહી થાય જાનકીને અનહદ લફળા હતા, તો પણ હુ મારા પ્રેમને લીધે હુ એની પાછળ જ રહેતો હતો.

