ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) નજીક આવતા 24 ગામોમાં આગામી 60 દિવસ સુધી નિર્ણય લાગુ પડશે
ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ યોજનામાં આવતા રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના કુલ 24 ગામોમાં આગામી 60 દિવસ માટે બિનખેતી (એન.એ.) પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ તુરંત સ્થગિત કરવામાં આવી છે.
સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અન્વયે જિલ્લા કલેક્ટર ડો.
ઓમ પ્રકાશ દ્વારા આ નિર્ણય જારી કરવામાં આવ્યો છે. જેની સંબંધિત જમીનધારકો અને નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયા અનુસાર, સરકારના મહેસૂલ વિભાગના 02 જૂન 2026ના પરિપત્રથી જમીન સંપાદન અંતર્ગત સંપાદન થનાર જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા બાબતે સૂચના અપાઈ છે. આ પરિપત્ર મુજબ, સંપાદક સંસ્થા દ્વારા યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનારા ગામોની યાદી કલેક્ટરને સોંપવાની રહે છે. આ યાદી મુજબના ગામોની બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાની હોય છે. આ 60 દિવસના સમયગાળામાં સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની ઓળખ કરવા અંગેની કાર્યવાહી સંપાદક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર, એન.એચ.એ.આઈ., પી.આઈ.યુ., રાજકોટ દ્વારા ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ અંતર્ગત સંપાદન યોજનામાં આવતા ગામોની યાદી 22મી જૂને મોકલવામાં આવી છે. સંપાદક સંસ્થા એન.એચ.એ.આઈ. દ્વારા જમીન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખ અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવશે. આ દરખાસ્તમાં બિનખેતી પરવાનગી માટે માંગણી કરેલી જમીનનો સમાવેશ સંપાદન હેઠળ થતો ન હોય તો તે માટે અરજી કરી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.
ક્યાં ક્યાં ગામમાં નિર્ણય લાગુ પડશે?
રાજકોટ તાલુકાના રામપરા બેટી, મઘરવાડા, સાયપર, કુચીયાદડ, રફાળા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણીયાળા, ખેરડી, ગુંદા, કસ્તુરબા ધામ, કુવાડવા, ઢાંઢણી, ઢાંઢીયા અને ગઢકા ગામનો સમાવેશ થાય છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, અરડોઈ, નારણકા, પીપલાણા અને આણંદપર તેમજ ગોંડલ તાલુકાના ગુંદાસરા, રીબડા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે. સંપાદન પ્રક્રિયામાં આવતા ઉપરોક્ત ગામોમાં 60 દિવસ સુધી બિનખેતી પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે.

