ગુજરાતની મજબૂત બોલિંગની આજે પરીક્ષા: રોયલ્સ-ટાઇટન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા જંગ: હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ગુજરાતનું પલડું ભારે, બંને વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી 7 મેચ ગુજરાત જ્યારે 3 મેચ રાજસ્થાનના નામે રહી છે
આઇપીએલ 2026ના ક્વોલિફાયર-2માં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે. આ મેચ જીતનારી ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે.
કારણ કે, તેણે એલિમિનેટરમાં હૈદરાબાદ સામે 12 સિક્સરથી 97 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.બીજી તરફ, આ સીઝનની સૌથી મજબૂત ગુજરાતની બોલિંગ લાઇન-અપ તેમને રોકવાનો પ્રયાસ કરશે. જેમાં કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, જેસન હોલ્ડર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાન જેવા બોલરો સામેલ છે.તેવામાં સવાલ એ ઊભો થાય છે કે સૂર્યવંશીનો “વૈભવ” ટાઇટન્સને ડુબાડી દેશે?શું રાજસ્થાનને આઇપીએલ ફાઈનલની ટિકિટ અપાવી શકશે વૈભવ સૂર્યવંશી?
હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ગુજરાતનું પલડું ભારે છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી 7 મેચ ગુજરાત જીત્યું છે, જ્યારે 3 મેચ રાજસ્થાનના નામે રહી છે. આ સીઝનમાં બંને ટીમ બરાબરી પર રહી છે. છેલ્લી મેચ ગુજરાત 77 રનથી જીત્યું હતું. તે પહેલા રાજસ્થાને 6 વિકેટથી જીત મેળવી હતી.રાજસ્થાન રોયલ્સ હાલમાં ઘણા અંશે વૈભવ સૂર્યવંશી અને જોફ્રા આર્ચર પર નિર્ભર છે. બંને ખેલાડીઓએ એલિમિનેટરમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વૈભવ 680 રન સાથે વર્તમાન સીઝનનો ટોપ સ્કોરર છે. જ્યારે, જોફ્રા આર્ચર 24 વિકેટ સાથે ટીમનો ટોપ વિકેટ ટેકર છે.યશસ્વી જયસ્વાલ આ સીઝનમાં સૂર્યવંશીની ચમક સામે ઝાંખો પડતો દેખાયો છે, જ્યારે ધ્રુવ જુરેલે નંબર-3 પર ઉપયોગી ઇનિંગ્સ રમી છે. કેપ્ટન રિયાન પરાગે સ્વીકાર્યું કે સનરાઇઝર્સ સામે ટીમ 260 રન સુધી પહોંચી શકતી હતી, પરંતુ ડેથ ઓવર્સમાં બેટિંગ લાઇન-અપ વેરવિખેર થઈ ગઈ. ટીમ આ નબળાઈને સુધારવા ઇચ્છશે.ગુજરાત ટાઇટન્સની બેટિંગ મોટાભાગે સાઈ સુદર્શન (652 રન), શુભમન ગિલ (618 રન) અને જોસ બટલર (498 રન) પર નિર્ભર છે. છેલ્લી મેચમાં બેંગલુરુ સામે ટોપ-3 બેટર્સ જલ્દી આઉટ થયા બાદ ટીમ 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.ક્વોલિફાયર-1માં બેંગલુરુના બેટર્સે ગુજરાતના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેથી ગુજરાત પોતાની બોલિંગ અને ફિલ્ડિંગના પ્રદર્શનમાં સુધારો કરવા ઇચ્છશે. કાગીસો રબાડા 26 વિકેટ લઈને સીઝનનો ટોપ વિકેટ ટેકર્સમાં બીજા સ્થાને છે.
હું ક્યારેય ભૂલતો નથી કે માફ કરતો નથી: સૂર્યવંશી
હું ક્યારેય ભૂલતો નથી કે માફ કરતો નથી. વૈભવના આ વાક્યે આખા દેશમાં ચર્ચા મચાવી છે. તેમના પિતા સંજીવ સૂર્યવંશી એક સમયે ક્રિકેટર બનવાના સપના જોઈ રહ્યા હતા, પરંતુ તે પૂરા ન થયા. તેમણે પોતાના સપનાને પુત્રમાં જીવંત કર્યા. વૈભવ માત્ર 4 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવા લાગ્યા હતા. 8 વર્ષની ઉંમરે પાટણાની એકેડેમીમાં જોડાયા, જ્યાં દર બીજા દિવસે 100 કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી.
આઈપીએલ 2025માં તેમણે 14 વર્ષની ઉંમરે સૌથી યુવા સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. 38 બોલમાં 101 રન અને આ સીઝનમાં 50થી વધુ સિક્સર્સ મારીને રેકોર્ડ બનાવ્યો. તેમણે કહ્યું છે કે, હું ક્યારેય મારી નિષ્ફળતાઓને ભૂલતો નથી અને કોઈને માફ પણ નથી કરતો. આ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. આ વાક્ય તેમની માનસિકતાને દર્શાવે છે તેઓ હંમેશા ભૂખ્યા રહે છે, વધુ સારું કરવા માટે.
વૈભવ હાલમાં ભારત અંડર-19 ટીમમાં પણ ચમકી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સે તેમને મોટી કિંમતે કોન્ટ્રાક્ટ આપ્યો છે. તેમના કોચ અને પરિવારના સભ્યો કહે છે કે વૈભવ હજુ પણ ગામમાં આવે ત્યારે સવાર-સાંજ પ્રેક્ટિસ કરે છે.તાજપુરના લોકો હવે આશા રાખે છે કે વૈભવ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ જલ્દી ડેબ્યુ કરશે. માઈકલ વોન જેવા દિગ્ગજો પહેલેથી જ કહી રહ્યા છે કે વૈભવને ભારતીય કેપ આપી દો.
સૂર્યવંશી ભારતીય ક્રિકેટ માટે “ગોડ" સાબિત થશે: સુનીલ ગવાસ્કર
ભારતીય ક્રિકેટના મહાન દિગ્ગજ સુનિલ ગવાસ્કરને ફરી એક વાર 'સૂર્યવંશીને” ઇન્ડિયન ક્રિકેટ માટે ભગવાન તરીકે નવાજવામાં આવ્યા છે. આ સન્માન વિશેષ કરીને તેમના અનુભવ, વ્યક્તિત્વ અને યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપવાની ક્ષમતાને કારણે આપવામાં આવ્યું છે.
ખાસ કરીને હાલમાં આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ ક્રિકેટમાં ચમકતા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર ગવાસ્કરે આપેલા પ્રશંસાપૂર્ણ વ્યાખ્યાને કારણે આ વાત વધુ પ્રસિદ્ધિ પામી છે. વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક પ્રદર્શનને જોઈને ગવાસ્કરે કહ્યું કે, આ યુવાન ભારતીય ક્રિકેટના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે.
સુનિલ ગવાસ્કરે વૈભવ સૂર્યવંશીના તાજેતરના આઈપીએલ પ્રદર્શનની ખૂબ જ પ્રશંસા કરી છે. 15 વર્ષના આ યુવા ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ માટે રમતા સમયે અનેક રેકોર્ડ તોડ્યા છે. ગવાસ્કરે સ્ટાર કહ્યું કે, વૈભવની બેટિંગમાં સંતુલન, સીધી બેટ અને બોલની લાઇન-લેંથ વાંચવાની ક્ષમતા અસાધારણ છે. તે યુવાનીના ફાયદાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યો છે.
વૈભવને જલ્દી રોકવાનો પ્રયાસ કરીશું: પાર્થિવ પટેલ
પાર્થિવ પટેલે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, વૈભવ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેનાથી હું ખૂબ પ્રભાવિત છું. આશા છે કે અમે મેચની શરૂઆતમાં જ તેને આઉટ કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે બાકીની તમામ ટીમો વ્યૂહનીતિ બનાવી રહી છે, અમે પણ વીડિયો જોયા છે. આશા છે કે અમે અમારી યોજનાને મેદાન પર લાગુ કરવામાં સફળ રહીશું. પરંતુ તે પ્લાન શું છે, તે તો અમે મેદાન પર ઉતરીને જ જણાવી શકીશું. તે એક અસાધારણ પ્રતિભા રહ્યો છે અને જે અંદાજમાં રમી રહ્યો છે તે શાનદાર છે. પરંતુ વિરોધી ટીમ તરીકે અમે કાલે આશા રાખીએ છીએ કે તેનું બેટ ન ચાલે.રોયલ્સ પાસે સૂર્યવંશી અને જોફ્રા આર્ચરના રૂપમાં 'એક્સ ફેક્ટર' છે જ્યારે ટાઇટન્સની ટીમ નિરંતરતા પર નિર્ભર કરે છે. પાર્થિવે કહ્યું, 'જ્યાં સુધી અમને પરિણામ મળી રહ્યા છે ત્યાં સુધી અમારે એ બાબતે વિચારવાની જરૂર નથી કે અમારે એક્સ ફેક્ટર જોઈએ છે કે સાતત્ય
સૂર્યવંશી સિરાઝને આડે હાથ લેશે?
તાજેતરમાં જયપુરમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં મોહમ્મદ સિરાજે શોર્ટ બોલ પર સૂર્યવંશીની વિકેટ લીધી હતી.હવે આજે સૂર્યવંશી સિરાઝ ને આડા હાથે લેશે? જ્યારે રબાડા તેની આક્રમક બેટિંગનો શિકાર બન્યો હતો. વૈભવે 16 બોલમાં 3 સિક્સર સહિત 36 રન બનાવ્યા હતા.વૈભવે ગુજરાત સામે 3 મેચ રમી છે અને એક સદીની મદદથી 233.33ની સ્ટ્રાઇક રેટથી 168 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 15 ચોગ્ગા અને 15 સિક્સર આવી ચૂકી છે. તેને મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક-એક વાર આઉટ કર્યો છે.
રૂ.30 કરોડ! 15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે આઈપીએલની હરાજીમાં રેકોર્ડ બ્રેકિંગ બિડની ચર્ચા
આઈપીએલ 2026ની સીઝનમાં એક 15 વર્ષના કિશોરે ક્રિકેટ જગતને પોતાની તરફ આકર્ષિત કરી દીધું છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ અને રેકોર્ડ તોડતા પ્રદર્શનથી ફ્રેન્ચાઈઝીઓને આગામી હરાજીમાં મોટા બિડની કલ્પના કરવા મજબૂર કરી દીધી છે.તેની આક્રમક શૈલી, ડર વગરની બેટિંગ અને વિરોધી બોલરોને દબાવી દેવાની ક્ષમતા જોઈને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી આઈપીએલ હરાજીમાં તેની કિંમત 30-35 કરોડ સુધી પહોંચી શકે છે. કેટલાક તો 50 કરોડની પણ વાત કરી રહ્યા છે.
વૈભવ પર મહાદેવની કૃપા છે: તાજપુરવાસીઓ
ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશી તેમના વતન તાજપુર પાછા ફરતા લોકોએ તેમને વધાવી લીધા. તાજપુરવાસીઓએ જણાવ્યું કે, ભગવાન શિવની કૃપા વૈભવ પર છે. તેમની મહેનત, સંઘર્ષ અને ક્યારેય હાર ન માનવાની ભાવના તેમને આજે આ સ્થાને લાવી છે.વૈભવ જ્યારે તેમના ગામ તાજપુર પહોંચ્યા ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ. ગામના લોકો, બાળકો, પરિવારજનો અને પાડોશીઓએ ફૂલમાળાઓ, પટાખા અને ઢોલ-નગારાના સૂરે તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

