તાત્કાલીક જોબ ચાર્ટ અમલમાં મુકવાની માંગ સાથે
ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને મહામંત્રી રામભાઈ દેસાઈ દ્વારા અપાયુ હડતાળનું એલાન
તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ તાત્કાલીક અમલમાં મુકવા અને મહેસુલ વિભાગ અને પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય વિભાગોની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે આજથી તલાટી મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને મહામંત્રી રામભાઈ દેસાઈના જણાવ્યાનુસાર ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંંત્રી પંચાયત વિભાગની પાયાની કેડર છે હાલમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસુલ વિભાગ તથા અન્ય અનેક વિભાગોની કામગીરી પણ તલાટી કમ મંત્રીઓ દ્વારા કરાવવામાં ાવે છે. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે. જેના પરિણામો પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મુળભૂત કામગીરી પર પ્રતિકૃળ અસર થઈ રહી છે.
વર્ષ 2022માં હડતાલના સમાધાન સમયે સરકારે તલાટી કમ મંત્રી તથા રેવન્યુ તલાટીના જોબચાર્ટ અંગે વહેલી તકે નિર્ણય કરવાની ખાતરી આપી હતી તે અનુસંધાન સમિતિઓની રચના કરવામાં આવી હતી. પરંતુ સાડા ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આજદિન સુધી અને કેડરના જોબચાર્ટ અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આ મુદ્દાઓમાં વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. નવી મહેસુલી તલાટીઓની ભરતીથી નિયુક્તિ આપતા પહેલા બંને કેડરના જોબચાડર્ટ અલગ કરવામાં આવે અન્યથા તલાટી કમ મંત્રીઓ મહેસુલ વિભાગ તથા અન્ય વિભાગોની સોંપવામાં ાવતી કામગીરીમાંથી બંધ કરવા આદેશ કરવાની ફરજ પડશે છતાં પણ આ બાબતને યોગ્ય નિકાલ કરવા અંગેની રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી.
હાલમાં સમગ્ર રાજ્યમાં મહેસુલી તલાટીઓને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી બંને કેડરના જોબચાર્ટ અલગ કરવાની બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
જેથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારશ્રીમા અને વિભાગમાં રજૂઆતો કરવા છતાં જોબચાર્ટ અને અન્ય વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી અંગે કોઈ જ નિર્ણય કરવામાં આવેલ નથી. જેથી આજથી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસુલ વિભાગની કામગીરી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આવી કોઈ કામગીરી નહિ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યા છે.
તેઓએ ઉમેર્યુ હતું કે, ગ્રામ્ય કક્ષાએ કૂલ મુખ્ય 3 કેડર કાર્યરત છે. 1. તલાટી કમ મંત્રી 2. મહેસૂલી તલાટી 3. ગ્રામ સેવક (ખેતી), આ ત્રણેય કેડર માં તલાટી કમ મંત્રી સૌથી જૂની કાર્યરત કેડર છે. સરકાર દ્વારા વખતો વખત ગ્રામ્ય કક્ષાએ કામનું ભારણ વધ્યું છે પરંતુ કામની વહેચણી ન થવા ને કારણે ગ્રામ્ય કક્ષાએ ખુબ સંઘર્ષની પરિસ્થિતિ ઉદ્ભવે છે. હાલ પણ પંચાયતની સાથે સાથે મહેસુલ અને ખેતીવાડી વિભાગની મોટા ભાગની કામગીરી તલાટી કમ મંત્રી કરે છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ કરાયો છે આજથી સમગ્ર રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસૂલ વિભાગના ગામ નમૂના નં. 1 થી 18 સહિતની મહેસૂલી કામગીરી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી કરવાની રહેશે નહીં. આ નિર્ણયનો અમલ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્રારા અન્ય બીજા કોઈ આદેશ ન થાય ત્યાં સુધી આ આદેશનું ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રી દ્વારા ચુસ્ત પાલન કરવાનું રહેશે.

