સમાજના આગેવાનો અને ઉદ્યોગકારોએ આવેદન પત્ર આપ્યું: આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા માંગ
મોરબી સીરામીક એસોસિએશન સહિત વિવિધ સંગઠનો, ઉદ્યોગકારો અને સમાજના આગેવાનો દ્વારા જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી અજય લોરીયાની ક્રાઇમ કુંડળીની તપાસ અને ઉદ્યોગપતિ ઉપર થયેલા હુમલામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારા સહિતનાઓએ ગંભીર આક્ષેપો લગાવી ત્વરિત પગલાં લેવા અપીલ કરી છે.
મોરબીમાં અજય લોરીયા વિરુદ્ધ વિરોધનો માહોલ ગરમાયો છે. મોરબી સીરામીક એસોસિએશન તથા તેની સાથે જોડાયેલા વિવિધ એસોસિએશનોના પ્રમુખો, વડીલો, ઉદ્યોગકારો તેમજ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો દ્વારા મોરબી જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ શેખરભાઈ અને તેમના મિત્ર ઉપર થયેલા જીવલેણ હુમલા મામલે ન્યાય આપવા સાથે અજય લોરીયાની સંપૂર્ણ ક્રાઇમ કુંડળીની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આ તકે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ કડક શબ્દોમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અજય લોરીયા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે અને લાંબા સમયથી અસામાજિક તત્વોની ગેંગ ચલાવી રહ્યો છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે સટ્ટાબાજી, ગેરકાયદેસર ટ્રેડિંગ, જમીન કબજો, હનીટ્રેપ, જુગાર અને અન્ય અનેક પ્રવૃત્તિઓમાં તેનો હાથ છે. મનોજ પનારાના જણાવ્યા મુજબ, અજય લોરીયાની સાથે 35થી 40 લોકોની ટોળકી કાર્યરત હોવાનું પણ કહેવાયું છે અને અનેક ગેરકાયદેસર ધંધાઓમાં તેની ભાગીદારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
હાલ મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ખાતરી આપવામાં આવી કે, તમામ ગેરકાયદેસરની પ્રવૃતિઓની તપાસ કરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ અજય લોરીયાની જાળમાં ફસાયેલા હોય તેઓ નિર્ભયપણે સામે આવે અને અજય લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે. તમામ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે તેમ પોલીસવડા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

