વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એક વખત આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં કરે તો આજે રાત્રે એક સંપૂર્ણ સંસ્કૃતિ નાશ પામે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે આજે રાત્રે એક એવી સંસ્કૃતિ મટી જશે જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં.
હું એવું બનાવવા નથી ઈચ્છતો, પરંતુ કદાચ એવું જ થશે.
તેમણે વધુમાં લખ્યું હતું કે આજે રાત્રે અમને ખબર પડશે - આ વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ પળોમાંથી એક બની શકે છે.
રાત્રે 8 વાગ્યા સુધી પ્રતિસાદની અપેક્ષા - જેડી વેન્સ
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ઈરાન સાથેના યુદ્ધ મુદ્દે જણાવ્યું હતું કે તેમને આશા છે કે રાત્રે આઠ વાગ્યા સુધી (ભારતીય સમય પ્રમાણે બુધવારે સવારે 5:30 વાગ્યા સુધી) અમેરિકાને ઈરાન તરફથી જવાબ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાનમાં પોતાના સૈન્ય લક્ષ્યો મોટા ભાગે હાંસલ કરી ચૂક્યું છે.
સાઉદી અરેબિયા પર ઈરાનના મિસાઇલ હુમલાઓને કારણે ચાલી રહેલી વાતચીત પાટા પરથી ઊતરી જવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જો સંઘર્ષ વધુ વધશે તો પાકિસ્તાન, સાઉદી અરેબિયા સાથે થયેલા કરાર મુજબ તેના સમર્થનમાં ઊભું રહેશે.
સાઉદી પર હુમલાઓથી વાતચીત પર અસર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અંગે બે પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત સરળ બનાવવા માટે પ્રયત્નો હજુ ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન ઈરાન સાથે સતત સંપર્કમાં છે અને બંને પક્ષોને ચર્ચાના ટેબલ પર લાવવા પ્રયાસ કરી રહ્યું છે.

