સ્થાનિક પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં પાણી પાણી. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ શહેરની જીવાદોરી સમાન નાવલી નદી બંને કાંઠે ગાંડીતૂર બનીને વહી રહી છે.
પૂરના પ્રચંડ પ્રવાહને કારણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલા ચેકડેમનો પાળો ને નુકસાન થતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પૂરનું જોખમ સતત વધી રહ્યું છે. નદીમાં પાણીની ભારે આવક થવાને કારણે હનુમાનજી આશ્રમ પાસેના ડેમના પાળાને ભારે નુકસાન થયું છે અને તે લગભગ તૂટી ગયો છે. પાળો તૂટવાના કારણે ડેમનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળવાની આશંકા પ્રબળ બની છે, જેને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે. લોકોને પોતાના જાનમાલની સુરક્ષા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. નદી કિનારાના જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા પણ જણાવાયું છે. અનરાધાર વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ, કાંઠાના વિસ્તારો જોખમમાં.
ભારે નુકસાન: તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક ચેકડેમનો પાળો તૂટતાં
નીચાણવાળા વિસ્તારના રહીશોને જાનમાલની સુરક્ષા બાબતે એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

