Bihar Hospital Fire : દિલ્હીના માલવિયાનગર અગ્નિકાંડ બાદ બિહારના મુઝફ્ફરપુર (Muzaffarpur) શહેરમાંથી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલ (Prasad Hospital) ના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટ (Short Circuit) ને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ICU માં દાખલ ત્રણ દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે.
હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
પ્રાથમિક અહેવાલો મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે દર્દીઓને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. હોસ્પિટલના ICU (Intensive Care Unit) રૂમમાં ગૂંગળામણ થવાને કારણે આ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત દર્દીઓ અને તેમના સંબંધીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો.
ICU વોર્ડમાં દાખલ 3 દર્દીના મોત
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેનાથી સ્થાનિક લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની 6થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ફાયર અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. મૃતકોનો આંકડો વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. પરિજનોએ હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના સાધનો કામ કરી રહ્યા ન હતા. હાલમાં, હોસ્પિટલ મેનેજમેન્ટ (Hospital Management) પોલીસ તપાસમાં સહયોગ આપી રહ્યું છે.
Delhi Hotel Fire Arrest : લુકઆઉટ નોટિસ બાદ પોલીસની મોટી કાર્યવાહી, હોટલના માલિક લવેકેશ બજાજની ધરપકડ

