Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gir Lion Protection : "'બેબિસીયોસિસ' સામે વન વિભાગની જંગ: ગીરના વનરાજ સુરક્ષિત

Gir Lion Protection : "'બેબિસીયોસિસ' સામે વન વિભાગની જંગ: ગીરના વનરાજ સુરક્ષિત

Gujarat First 2 weeks ago

Gir Lion Protection : ગીર અને રેવેન્યુ વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ એક્શન મોડમાં છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે 'બેબિસીયોસિસ' સામે 10 કિમી વિસ્તારમાં 'ડીટીકિંગ' કામગીરી શરૂ કરાઈ છે અને હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. મુખ્યમંત્રી અને PMO દ્વારા આ અંગે સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે.

ગુજરાતનું ગૌરવ અને એશિયાભરમાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાટીક સિંહો(Asiatic lions)ની સુરક્ષા અને સંવર્ધન હંમેશાં રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.

તાજેતરમાં ગીર સેન્ચ્યુરી(Gir Century)ની બહાર આવેલા રેવેન્યુ વિસ્તારોમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુના કિસ્સા સામે આવતા જ વન વિભાગ(Forest Department ) તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું છે કે, વન વિભાગ હાલ સંપૂર્ણ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે અને સમગ્ર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પ્રકૃતિપ્રેમીઓએ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી.

Gir Lion Protection : મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરિંગ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરેથી વહીવટી તંત્રને સક્રિય કરવામાં આવ્યું છે. ખુદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું કાર્યાલય (CMO) આ સમગ્ર ઘટના અંગે જાતે સીધી દેખરેખ રાખી રહ્યું છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર સ્તરેથી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) પણ આ ઘટના પર સતત નજર રાખીને રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરું પાડી રહ્યું છે.

Gir Lion Protection : ઘટનાની પૃષ્ઠભૂમિ અને તબીબી તપાસ

વન મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં ૦૮ બાળસિંહોના શંકાસ્પદ અને દુ:ખદ મૃત્યુ થયા છે.

  • રોગની આશંકા: પ્રાથમિક ધારણા મુજબ આ શંકાસ્પદ મોત 'બેબિસીયોસિસ' (Babesiosis)નામના રોગથી થયા હોવાની આશંકા છે, જે ઈતરડી નામના જંતુથી ફેલાય છે.

  • લેબોરેટરી તપાસ: સાચું કારણ સ્પષ્ટ કરવા માટે મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ‘ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર’ (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે.

  • નિષ્ણાતોની ટીમ: જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરો અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો સ્થળ પર વન વિભાગ સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે.

યુદ્ધના ધોરણે પ્રિવેન્ટિવ પગલાં અને 'ડીટીકિંગ' કામગીરી

પરિસ્થિતિ વણસે નહીં તે માટે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે:

આઇસોલેશન: અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે જેથી રોગચાળો આગળ ન ફેલાય.

ડીટીકિંગ કામગીરી: ઈતરડી નામના જંતુનો નાશ કરવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’ (Deteeking-ઈતરડી નાશક) પ્રિવેન્ટિવ કામગીરી તેજ કરવામાં આવી છે.

વેક્સિનેશન: જ્યાં પણ જરૂર જણાય ત્યાં નિયમબદ્ધ રીતે પ્રિવેન્ટિવ વેક્સિનેશન-Preventive vaccination (રસીકરણ) સહિતના તમામ તબીબી પગલાં લેવાઈ રહ્યા છે.

રાહતની વાત એ છે કે વન વિભાગની ત્વરિત કામગીરીના કારણે છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના કે શંકાસ્પદ મોત પ્રકાશમાં આવ્યું નથી.

એશિયાટીક સિંહો એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું અમૂલ્ય વન્યજીવ ધન છે. વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના નાગરિકો, પર્યાવરણવિદો અને પ્રકૃતિપ્રેમીઓને મક્કમ આશ્વાસન આપ્યું છે કે એશિયાટીક સિંહો(Asiatic lions) ની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રશાસન અને તબીબી ટીમોની રાત-દિવસની મહેનતને કારણે હાલ સ્થિતિ ચિંતાજનક નથી અને સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. વન વિભાગ સિંહોના સંવર્ધન માટે કોઈપણ કચાસ બાકી નહીં રાખે.

Civil Hospital Ahmedabad : નવજાત શિશુ પર એક દુર્લભ અને જટિલ સર્જરી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First