Rajkot Murder Case: રાજકોટમાં આઠ વર્ષ જૂના એક ચકચારી કેસનો આખરે પર્દાફાશ થયો છે. આજી નદીના પટમાંથી મળી આવેલા ધડ વગરના માથાના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આઠ વર્ષની લાંબી તપાસ બાદ મૃતકની ઓળખ મેળવી લીધી છે અને આ હત્યામાં કોલકાતાના એક ઠેકેદારની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આઠ વર્ષ પહેલા રાજકોટની આજી નદીના પટમાંથી એક અજાણ્યા બાળકનું માત્ર માથું મળી આવ્યું હતું, જેણે પોલીસ માટે તપાસનો મોટો પડકાર ઉભો કર્યો હતો. આ અંગે કોઈ ખાસ પુરાવા ન મળતા કેસ વણઉકેલ્યો રહ્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ જારી રાખી હતી અને હવે મૃતક બાળકના પરિવારની ભાળ મળતા આખો કેસ ફરી પ્રકાશમાં આવ્યો છે.
કોલકાતાના ઠેકેદાર દ્વારા હત્યાનો ખુલાસો
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, કોલકાતાનો રહેવાસી અને ઠેકેદાર અંજન માઝી ઉર્ફે આઝમ માઝી આ હત્યાનો મુખ્ય આરોપી છે. આરોપી આ બાળકોને મજૂરીકામ કરાવવાના બહાને કોલકાતાથી રાજકોટ લાવતો હતો. તે સમયે પોલીસની કાર્યવાહી દરમિયાન 19 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત પણ કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે જ એક બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
DNA રિપોર્ટ બાદ આરોપીનું ટ્રાન્સફર વોરંટ
હાલમાં આરોપી આઝમ માઝી કોલકાતાની જેલમાં બંધ છે. રાજકોટ પોલીસે મૃતક બાળકના પરિવાર સાથે આરોપીના DNA સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ સૈન્ટિફિક પુરાવા એકત્ર કરી રહી છે અને DNA રિપોર્ટ આવતા જ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને રાજકોટ લાવી તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં પોલીસની સતર્કતાને કારણે વર્ષો જૂના રહસ્યનો અંત આવવાની આશા જાગી છે.
Gujarat News Today : આજે 04 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

