ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામની માધ્યમિક હાઈસ્કુલમાં અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. શાળાના હોલ અને ઓફિસના કાચ તોડીને આશરે રૂા.1,50,000/- નું નુકસાન કર્યા બદલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ વાળુકડ માધ્યમિક હાઈસ્કુલમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે.
શાળાના ચોકીદારની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ છૂટા થઈ ગયા બાદ હાલ કોઈ નવો ચોકીદાર રાખવામાં આવ્યો ન હતો. ગત તારીખ 17/5/2026 ના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ સ્વાધ્યાય પરિવારના કાર્યકરો હાઈસ્કુલ ખાતે પોતાના કાર્યક્રમ માટે વહેલા પહોંચ્યા ત્યારે આ તોડફોડ તેમના જોવામાં આવી હતી. તેમણે તુરંત જ શાળાના આચાર્ય મહીપાલસિંહ દિલાવરસિંહ ગોહિલને ફોન દ્વારા આ અંગે જાણ કરી હતી.બનાવ ની જાણ થતાં જ આચાર્ય મહીપાલસિંહ ગોહિલે શાળાના પટ્ટાવાળા અને શિક્ષકોને સાથે રાખી સ્કુલ પર દોડી આવ્યા હતા.
શાળાની અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે, અજાણ્યા શખ્સે પથ્થરોના ઘા મારીને હાઈસ્કુલના મુખ્ય હોલની બારીઓના કાચ,પ્રિન્સિપાલ ચેમ્બર (ઓફિસ) ના બે કાચ,નવી પ્રિન્સિપાલ ઓફિસના દાદરા અને ઓફિસના કાચઆ તમામ જગ્યાએ ભારે તોડફોડ કરી આશરે દોઢ લાખ રૂૂપિયાનું સરકારી/જાહેર મિલકતને નુકસાન પહોંચાડી અજાણ્યો ઇસમ નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે શાળાના સ્ટાફ સાથે જરૂૂરી પરામર્શ કર્યા બાદ, આચાર્ય મહીપાલસિંહ ગોહિલે વરતેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. વરતેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ વિરમદેવસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.
