સાસુએ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કર્યો'તો ; ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ કારણ બહાર આવશે
રાજકોટ તા,28
કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે ગત તા.21ના યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા ઈજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાંથી તે રજા લઈ ઘરે જતો રહ્યા બાદ ઉલટી થતા ફરી હોસ્પિટલે ખસેડાતા મૃત્યુ નિપજ્યુ હતું. હાલ પોલીસે બનાવ હત્યાનો છે કે કેમ તે જાણવા ફોરેન્સીક પી.એમ.ની તજવીજ આદરી છે.
જાણવા મળતી વિગત મુજબ નવાગામ રંગીલા પાર્કમાં રહેતો સુરેશ ભોપાભાઈ જાડા (ઉ.24) ગત તા.21ના મેંગો માર્કેટ પાસે હતો ત્યારે કમલેશ ભરવાડ અને સંજય નામના શખ્સે તેના સાસુએ અગાઉ બંને શખ્સો સામે કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ઝઘડો કરી ધોકા-પાઈપ વડે હુમલો કરતા ગંભીર ઈજા થતા સિવિલમાં ખસેડાયો હતો.
બી ડિવિઝન પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત સુરેશ તે જ દિવસે હોસ્પિટલથી રજા લીધા વગર જતા રહ્યા બાદ ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થયો હતો પરંતુ તે ફરીથી ઘરે જતા રહ્યા બાદ આજે ઘરે ઉલ્ટી થતા તબિયત લથડતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ બી. ડીવીઝન પોલીસે આ ઘટના હત્યામાં પરિણામી છે કે કેમ તે જાણવા ફોરેન્સીક પી.એમ. કરાવવા તજવીજ હાથ ધરી છે.

