દિવ્યાંગ વ્યક્તિઓની આવાગમનની સુવિધા સુધારવા માટે ગુજરાત સરકારે સાઇડકાર ફિટ કરેલી મોટરસાઇકલોની નોંધણી અને ફેરફારને મંજૂરી આપી છે. પરિવહન કમિશનરે તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અમલમાં મૂકવા માટે નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓ માટે વધુ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ પરિવહન વિકલ્પો પૂરા પાડવાનો છે.
હવે દિવ્યાંગ વ્યક્તિઓ નિર્ધારિત ધોરણો અનુસાર સાઇડકારવાળી મોટરસાઇકલોની નોંધણી કરાવી શકશે અને તેમાં જરૂૂરી ફેરફાર કરી શકશે. માનો દિવ્યાંગ એટલે કે બૌદ્ધિક કે માનસિક અશક્તિ ધરાવતી વ્યક્તિઓ માટે પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનું સંચાલન કાનૂની વાલી અથવા અધિકૃત ડ્રાઇવર દ્વારા જ થવું જોઈએ, જેની પાસે માન્ય લાઇસન્સ હોય.
સુરક્ષાને અગ્રતા આપવામાં આવી છે. આવા વાહનોની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવામાં આવી છે. હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, સાઇડકારમાં સીટ બેલ્ટ લગાવવાની જોગવાઈ છે અને વીમો પણ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. આ પગલાંથી દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સ્વતંત્ર અને સુરક્ષિત રીતે મુસાફરી કરવાની સુવિધા મળશે.

