સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક અને વિશેષ કાયદો બનાવવાની તેમજ અકસ્માત સર્જનારા દોષિતોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા સખત સજા અપાવવાની માંગ કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોના હાઈવે પર વિહાર કરી રહેલા જૈન સંતો સાથે હિટ એન્ડ રનની અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં બનેલી બે મોટી ઘટનાઓએ સમગ્ર જૈન શાસનને હચમચાવી દીધું છે, જેને કારણે સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતા સુરત મેટ્રોપોલિટન વિસ્તારના તમામ જૈન સંગઠનો અને ચારેય ફિરકાઓ આ મુદ્દે એક થઈ ગયા હતા. સવારે નવ વાગ્યે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરીને એકત્રિત થયા હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત અહિંસાને વરેલો આ સમાજ કોઈપણ પ્રકારની નારાબાજી કે ઘોંઘાટ વગર, અત્યંત શિસ્તબદ્ધ રીતે મૌન પાળીને આગળ વધ્યો હતો. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂૂ થઈને અઠવાલાઈન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.
રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં સાધુ-સંતોની સુરક્ષાની માંગ કરતા બેનરો અને પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા.પ્રથમ ઘટના: 20 મે, 2026ના રોજ આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગર જી મહારાજના પરમ શિષ્યા અને દિગંબર જૈન સમુદાયના અગ્રણી સાધ્વીજી શ્રુતમતી માતાજી તથા ઉપશમ માતાજી મધ્યપ્રદેશના રેવા વિસ્તારમાં પગપાળા વિહાર કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ માર્ગ અકસ્માતમાં બંને સાધ્વીજીઓ કાળધર્મ પામ્યા હતા. જૈન સમાજનો આક્ષેપ છે કે આ માત્ર સામાન્ય અકસ્માત નથી, પરંતુ તેની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર છે. બીજી ઘટના: ગઈકાલે 28 મેએ ચોટીલા હાઈવે નજીક વિહાર કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પૂજ્ય પંન્યાસ શ્રી ઓમકારશેખર વિજય જી મહારાજ પણ એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા અને તેમનું પણ કરુણ અવસાન થયું.
એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં દિગંબર અને શ્વેતાંબર સમાજના આટલા મોટા સંતોના મૃત્યુ થતાં જૈન સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.જૈન સમાજના અગ્રણી હિતેશકુમાર જૈને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એવા ક્ષેત્રોમાં ટાર્ગેટ કરીને ષડયંત્ર રૂૂપે જૈન સાધ્વીઓ, સાધુ ભગવંતોની હત્યા કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે. રેવા અકસ્માતના આરોપીઓ ભલે પકડાઈ ગયા હોય, પણ તેની પાછળ રહેલા મુખ્ય ષડયંત્રકારીઓનો પર્દાફાશ થવો જરૂૂરી છે. ચોટીલામાં પંન્યાસ ઓમકારશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની જે એક્સિડન્ટ રૂૂપે પણ હત્યા થઈ છે, એ પણ ખૂબ નિંદનીય છે.
પગપાળા વિહાર કરતાં જૈનમુનિઓને સુરક્ષા પૂરી પાડવા માંગ
ભારતભરમાં પગપાળા વિહાર કરતા તમામ સાધુ, સાધ્વી, સંતો અને મહંતોને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડતો એક વિશેષ કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે. સંતોના અકસ્માત અને હત્યા પાછળ સંમિલિત તમામ દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને ફાંસી જેવી સખતમાં સખત સજા આપવામાં આવે.

