પરિવાર જાંબુડા પાસે આવેલા વોટરપાર્કમાં ગયા હતા, આવીને જોયું તો ઘરના તાળા તૂટેલા
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારી કે જેઓ ગઈકાલે પોતાના પરિવાર સાથે જામનગર નજીક આવેલા એક વોટરપાર્કમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન સવારે 9.00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ધોળે દહાડે કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી 8.30 લાખની રોકડ રકમ તેમજ 30,000 ની કિંમતની સોનાની વીંટી સહિતની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ સિટી સી.
ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા તસ્કરો દ્વારા ઘરમાં ઘુસી મોટી રકમની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ યાદવનગર આહીર સમાજની બાજુમાં રહેતા નારણભાઈ હમીરભાઈ કંડોરીયા (ઉંમર 46), જે અભય કૃપા પ્રોવિઝન સ્ટોર નામે કરીયાણાની દુકાન ચલાવે છે, તેઓ પોતાના પરિવાર સાથે રહે છે.
ઘટના અંગેની વિગત પ્રમાણે, તા. 02/09/2027ના રોજ સવારે અંદાજે 09:00 વાગ્યે નારણભાઈ પોતાના પરિવાર સાથે જાંબુડા પાટીયા પાસે આવેલ વેલમ વોટરપાર્ક ફરવા ગયા હતા. સાંજે અંદાજે 05:00 વાગ્યે ઘરે પરત ફરતા તેઓએ જોયું કે ઘરના નીચેના માળે આવેલા રૂૂમનું તાળું તૂટેલું હતું.
ઘરમાં પ્રવેશ કરીને તપાસ કરતાં રૂૂમમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં લોખંડના કબાટનું લોક તૂટેલું હતું અને અંદર રહેલી તિજોરીનું પણ લોક તોડી નાખવામાં આવ્યું હતું.
તિજોરી તપાસ કરતાં તેમાં રાખેલ રોકડ રૂૂપિયા આઠ લાખ તેમજ અન્ય બચત રૂૂપિયા 30,000 અને સોનાની લેડીઝ વીંટી અંદાજિત કિંમત રૂૂપિયા 30,000 ગાયબ જોવા મળ્યા હતા. આ રીતે કુલ રૂૂપિયા 8,60,000 જેટલી રકમ અને દાગીના ચોરી થયાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે પરિવારજનો દ્વારા આસપાસ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા ચોરોએ ઘરની બહારની દીવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
