રાજકોટ શહેરમાં સીએમએસ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતા શખ્સે બંજરગવાડી એટીએમમમાં રૂ. પાંચ લાખ જમા નહીં કરાવી ઓળવી ગયો હતો. જે અંગે પોલીસમાં અરજી કરતા રૂ.1.40 લાખ પરત આપી દીધા હતાં. પરંતુ બાકી રહેતી રકમ 3.60 લાખ પરત ન આપતા કંપનીના મેનેજરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતો મુજબ,એરપોર્ટ રોડ પર જયગીત સોસાયટી શેરી નંબર 1 માં રહેતા લક્ષ્મણપ્રસાદ મનીરામ શર્મા (ઉ.વ.
37) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાર્તિક પ્રદીપભાઈ વ્યાસ (ઉ.વ.19 રહે. હાલ જામનગર, મૂળ કોડીનાર)નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે બીઓબી સોસાયટીમાં જૈન દેરાસર નજીક સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. કંપની દરેક સરકારી અને પ્રાઇવેટ બેંકમાંથી રૂપિયા લઇ તે રૂપિયા જે તે બેંકના એટીએમ મશીનમાં લોડ કરવાનું તથા એટીએમ મશીનમાં લોડ ન થયેલા રૂપિયા બેંકમાં જમા કરાવવાનું કામ કરે છે. ઓફિસમાં કુલ 90 વ્યક્તિઓનો સ્ટાફ છે. એટીએમમાં કેશ જમા કરાવવા માટે ગનમેન, ડ્રાઇવર તથા બે (કેશિયર) કસ્ટોડિયન વ્યક્તિઓ સાથે રહેતા હોય છે આરોપી કાર્તિક કસ્ટડીયન તરીકે નોકરી કરતો હતો.
ગઈ તા. 8/6ના સવારના ઓફિસ ખાતે એટીએમ લોડ કરવા માટે એક ગાડીમાં સ્ટાફ જતો હતો તે સમયે કાર્તિક નોકરી પર આવ્યો ન હોવાની જાણ થતા તેને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, મારા માતાની તબિયત સારી નથી એટલે નોકરી પર નહીં આવું. જેથી તેને એટીએમની ચાવી બાબતે પૂછતા ઓફિસમાં રાખી હોવાનું કહ્યું હતું. બાદમાં કાર્તિકની જગ્યાએ કસ્ટોડિયન તરીકે પરસોત છાસિયાને મોકલ્યો હતો. બપોરના દોઢ એક વાગ્યા આસપાસ પરસોતમનો મેનેજરને ફોન આવ્યો હતો કે, બજરંગવાડી મેઈન રોડ પર આવેલ એસબીઆઇના એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ 8.64 લાખ રોકડ છે. પરંતુ એટીએમ મશીનમાં રોકડ રૂપિયાની ગણતરી કરતા 3.64 લાખ જ છે અને રૂપિયા પાંચ લાખ રોકડની ઘટ આવે છે.
આ બાબતે મેનેજરે કાર્તિકને ફોન કરી બજરંગવાડી એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ પાંચ લાખની ઘટ આવે છે તે પૈસા ઓછા નાખ્યા છે કે કેમ? તેમ પૂછતા કાર્તિકે કહ્યું હતું કે, બજરંગવાડી એટીએમ મશીનના પૈસા ભૂલથી બીજા એટીએમમાં નાખી દીધા હશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બાદમાં કાર્તિકના રૂટમાં આવતા તમામ એટીએમ મશીનનું ઓડિટ કરાવ્યું હતું પરંતુ કોઈ એટીએમમાં વધારે પૈસા જમા થયા ન હતા. જેથી ફરી કાર્તિકને ફોન કરતા ગોળ ગોળ જવાબ આપતો હતો અને બાદમાં ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. કાર્તિકની માતાને પૂછતા તેણે કહ્યું હતું કે, કાર્તિક ઘરે આવ્યો નથી બાદ આ બાબતે કાર્તિક વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.આ અરજી કર્યા બાદ કાર્તિક કંપનીમાં રૂપિયા 1.40 લાખ જમા કરાવી ગયો હતો.
આમ ઓડિટ રિપોર્ટ મુજબ કંપનીમાં કસ્ટોડિયન(કેશિયર) તરીકે કામ કરનાર કાર્તિકે તારીખ 6/6ના બજરંગવાડી એટીએમ મશીન માં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ 8.64 લાખ હોવા જોઈતા હતા પરંતુ તે એટીએમમાં પાંચ લાખની ઘટ આવતી હોય જે પાંચ લાખ તે ઓળવી ગયો હોય જેમાંથી 1.40 લાખ કંપનીમાં જમા કરાવી બાકીના રૂપિયા 3.60 લાખ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હોય આ અંગે ફરિયાદ નોંધાવી છે.
