પેટમાં દુખાવો થતા વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા'તા: ફોરેન્સિક પીએમ કરાવાયું
શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર આવેલા લોઠડા ગામે રહેતા બિહારી પ્રૌઢનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે મૃત્યુનુ ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવામાં આવ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ લોઠડા ગામે વરૂણ હેરશની પાછળ રહેતા નિરંજનશિંઘ ચંદ્રમોહનશિંઘ ભુમિહાર (ઉ.વ.56)નામના પ્રૌઢને કેટલાક દિવસથી પેટમાં દુખાવો થતો હોય.જેથી તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનુ ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક મુળ બિહારના વતની અને હાલ રાજકોટમાં રહી કારખાનામાં કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ મોતનુ ચોક્કસ કારણ બહાર આવશે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

