ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી તપાસ મોડી સાંજ સુધી ચાલી. ₹1500 કરોડના પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ મામલે આ તપાસ આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જેમાં અગાઉ ED પણ તપાસ કરી ચૂકી છે.
ભાવનગર - શહેરના આતાભાઈ ચોક નજીક ઈવા-1 કોમ્લેક્સમાં આવેલ ઇકોનો બ્રોકિંગ નામના સ્ટોક બ્રોકર ફર્મમાં સેક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના દરોડા પડયા છે.
સેબી દ્વારા સવારે 10 વાગ્યે શરૃ કરવામાં આવેલી તપાસ મોડી સાંજ સુધી ચાલી હતી. પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ મામલે આ તપાસ આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને અગાઉ ઈડી પણ આ મામલે શહેરમાં તપાસ કરી ચુકી છે.
જીએસટી કૌભાંડમાં પંકાયેલું ભાવનગર જાણે આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીએ ઉજાગર કરેલા શેર બજારના પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડમાં એક વર્ષ પૂર્વે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ઈડી) તપાસ ભાવનગરમાં આવી હતી. જે બાદ આ મામલે સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની (સેબી) મુંબઈની એક ટીમે આજે ભાવનગરમાં ધામા નાખ્યા છે. સ્થાનિક પોલીસના બંદોબસ્ત વચ્ચે સેબીની એક ટીમે શહેરના આતાભાઈ ચોક વિસ્તારમાં આવેલા ઈવા-1 કોમ્પ્લેક્સમાં આવેલ ઈકોના બ્રોકિંગ નામની સ્ટોક બ્રોકર ફર્મમાં સવારે 10 વાગ્યે તપાસ શરૃ કરવામાં આવી હતી. દરોડામાં સામેલ સેબીના અધિકારીઓએ આ મામલે મૌન સેવ્યું હતું. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૃા.1500 કરોડના પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. નિયમનકારી એજન્સી સેબીએ સવારે 10 વાગ્યે શરૃ કરેલી તપાસ મોડી સાંજ સુધી ચાલી હતી અને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મામલે એજન્સી દ્વારા કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડમાં શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં થતી એક છેતરપિંડીની પદ્ધતિ છે. જેમાં પેની સ્ટોકને કૌભાંડીઓ દ્વારા ખરીદી લેવામાં આવે છે અને બાદમાં એસએમએસ અને સોશિયલ મીડિયામાં આવા પેની સ્ટોકનો ભાવ વધશે તેવી હવા ફેલાવવામાં આવે છે જેથી મોટી સંખ્યામાં સામાન્ય રોકાણકારો આવા સ્ટોક ખરીદતા સ્ટોકનો ભાવ વધી જાય છે. આવા સ્ટોકની કિંમત તેના ઉચ્ચતમ સ્તરે પહોંચે પછી કૌભાંડી પોતાના શેર વેચીને મોટો નફો કમાઈ લે છે અને મોટા પ્રમાણમાં શેરનું વેચાણ થવાથી ફરી પેની સ્ટોકના ભાવ ઘટી જતાં સામાન્ય રોકાણકારોને આર્થિક નુકસાન પહોંચે છે.

