ગુજરાતમાં એનઆરઆઈ થાપણોમાં વાર્ષિક ધોરણે 12.4 ટકાનો વધારો નોંધાયો છે. 2026-27ના પહેલા ત્રિમાસિકમાં આ થાપણો રૂૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂૂ. 1,08,897.99 કરોડ હતી. આમ આશરે રૂૂ. 13,466 કરોડનો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી) ગુજરાતના તાજેતરના અહેવાલ અનુસાર અમદાવાદ હજુ પણ સૌથી મોટો યોગદાનકર્તા છે.
અમદાવાદમાં રૂૂ. 27,326.02 કરોડની થાપણો છે, જે રાજ્યની કુલ એનઆરઆઈ થાપણોના 22.3 ટકા છે.
વડોદરા બીજા ક્રમે છે, જ્યાં રૂૂ. 19,447.11 કરોડની થાપણો છે, જ્યારે કચ્છ ત્રીજા સ્થાને રૂૂ. 18,212.65 કરોડ સાથે છે. આ ત્રણ જિલ્લાઓ મળીને ગુજરાતની કુલ એનઆરઆઈ થાપણોના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
બેન્કિંગ ક્ષેત્રના એક વરિષ્ઠ સ્ત્રોતે જણાવ્યું હતું કે, એનઆરઆઈ થાપણોમાં વધારો વિદેશમાં વસતા ગુજરાતીઓનો રાજ્યમાં તેમના ભંડોળને જાળવી રાખવાનો સતત રસ દર્શાવે છે. તેમાંથી મોટો હિસ્સો અમદાવાદમાં ઉચ્ચ કક્ષાની રહેણાંક મિલકતોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ તરીકે જાય છે.
આનંદ ચોથા ક્રમે રૂૂ. 9,746.58 કરોડ સાથે છે, જ્યારે સુરતમાં રૂૂ. 9,480.82 કરોડ અને રાજકોટમાં રૂૂ. 9,368.49 કરોડની થાપણો છે.
બંનેમાં મજબૂત વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. નવસારી સાતમા સ્થાને રૂૂ. 6,928.78 કરોડ સાથે છે, ત્યારબાદ ગાંધીનગર રૂૂ. 5,353.23 કરોડ સાથે ટોચના દસમાં નવેસરથી સામેલ થયું છે. ખેડા અને પોરબંદર અનુક્રમે રૂૂ. 3,138.04 કરોડ અને રૂૂ. 2,805.37 કરોડ સાથે ટોચના દસમાં સ્થાન ધરાવે છે. અમદાવાદમાં વર્ષ દરમિયાન આશરે રૂૂ. 2,138 કરોડનો વધારો થયો છે, વડોદરામાં લગભગ રૂૂ. 1,593 કરોડ અને કચ્છમાં આશરે રૂૂ. 1,426 કરોડનો વધારો નોંધાયો છે.

