રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી "ક્રિષ્ના પાર્ક સોસાયટી" ના રહીશો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં સોસાયટીને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા અને ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ વિસ્તારનો "અશાંતધારા" માં સમાવેશ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર, ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં નિમ્ન મધ્યમ વર્ગના અંદાજે 100 જેટલા હિન્દુ પરિવારો વસવાટ કરે છે.
આ ઉપરાંત તેની સાથે જોડાયેલી હર્ષીલ પાર્ક, બીલીપત્ર અને લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં પણ આશરે 250 જેટલા હિન્દુ પરિવારો રહે છે, અને આ તમામ મિલકતો પર હાલ હિન્દુ પરિવારોનો જ માલિકી હક છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી અમુક ગેર-હિન્દુ વ્યક્તિઓ દ્વારા સોસાયટીના મકાનો ખરીદવા માટે સ્થાનિકોને મોટી રકમની લાલચ આપવામાં આવી રહી છે.
જોકે, રહીશોના સખત વિરોધ બાદ હાલ પૂરતો આ મામલો (મિલકત લેનાર અને વેચનાર બંને તરફથી) શાંત પડ્યો છે, પરંતુ સ્થાનિકોને આશંકા છે કે આ પ્રવૃત્તિ પાછળ કોઈ સક્ષમ વ્યક્તિ કે સંગઠન સક્રિય હોઈ શકે છે.આવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં કોઈ ગેરકાનૂની દબાણ કે પ્રક્રિયા નથી કરાઈ રહી, પરંતુ આસપાસના વિસ્તારોમાં ગેર-હિન્દુઓ વ્યવસાયિક સંપત્તિઓ ધરાવે છે અને છેલ્લા એક વર્ષમાં તેમના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બાબત સ્થાનિક રહીશો માટે ભવિષ્યના ભયનું મુખ્ય કારણ બની છે.
સોસાયટીના રહીશોએ કલેક્ટરને સવિનય વિનંતી કરી છે કે તેઓ રૂૂબરૂૂ અથવા તેમના અધિકારીઓ મારફતે સ્થળનું જાત નિરીક્ષણ કરાવે. આ નિરીક્ષણના આધારે સોસાયટીને સત્વરે 'અશાંતધારા' હેઠળ આવરી લેવામાં આવે તેવી અપીલ કરાઈ છે. કોઈ અઘટિત બનાવ બને તે પહેલાં કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય અને રાહત આપવા માંગ કરવામાં આવી છે.

