સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી હોવાના આક્ષેપો વચ્ચે LL.B. સહિત વિવિધ અભ્યાસક્રમોના સેમેસ્ટર-1 અને 2ના પરિણામો જાહેર કર્યા વગર જ સેમેસ્ટર-3નો અભ્યાસ શરૂૂ કરાવી દેવામાં આવ્યો છે. પરિણામે હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણ, માનસિક તણાવ અને શૈક્ષણિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
આ મુદ્દે જુનિયર બાર એસોસિએશનની QRT-108 દ્વારા વાઇસ ચાન્સેલરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની ઢીલી અને બિનજવાબદાર કામગીરીને કારણે વિદ્યાર્થીઓને તેઓ પાસ થયા છે કે નાપાસ તેની પણ જાણ નથી. પરિણામ જાહેર ન થતાં સ્કોલરશિપ, એજ્યુકેશન લોન, ઇન્ટર્નશિપ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતીના ફોર્મ ભરવા જેવા મહત્વના કાર્યો અટકી ગયા છે. જો કોઈ વિદ્યાર્થી અગાઉના સેમેસ્ટરમાં નાપાસ થયો હોય તો તેની તૈયારી કરવાનો સમય પણ મળતો નથી.
QRT-108 એ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીના પોતાના નિયમો મુજબ પરીક્ષા પૂર્ણ થયાના 30થી 45 દિવસમાં પરિણામ જાહેર થવું જોઈએ. તેમ છતાં સમયમર્યાદા પસાર થઈ હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. રજૂઆત મુજબ આ સ્થિતિ ઞૠઈની શૈક્ષણિક માર્ગદર્શિકાઓ અને સમયબદ્ધ શૈક્ષણિક વ્યવસ્થાના નિયમોના ઉલ્લંઘન સમાન છે, જેના કારણે વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. QRT-108 એ વાઇસ ચાન્સેલરને ચેતવણીરૂૂપ અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સેમેસ્ટર-1 અને 2ના પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવે અથવા ત્યાં સુધી પ્રોવિઝનલ પરિણામ જાહેર કરીને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે.

