રાજસ્થાન હાઇકોર્ટના ચૂકાદાને પડકારતી અરજી પર સુપ્રીમનો ચૂકાદો
આશરે 15 વર્ષ અલગ રહેતા એક ડોક્ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન સબંધિત કોર્ટ કેસો લાંબા સમય સુધી પડતર રહે તો લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. ભારતીય અદાલતો વારંવાર કહી ચૂકી છે કે વાજબી કારણ વગર જીવનસાથીને સતત શારીરિક સંબંધોથી વંચિત રાખવું ગંભીર ભાવનાત્મક પીડા પહોંચાડે છે અને લગ્નના મૂળ આધારને નબળો પાડે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે.
ન્યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે નોંધ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે ઘણા આધારો પર છૂટાછેડા મંજૂર કર્યા હતાં, જેમાં પત્ની દ્વારા અનેક વખત જાતીય સંબંધોનો ઇનકાર કરીને પતિ સામે કરવામાં આવેલી ક્રૂરતા પણ એક આધાર હતો. પતિની અપીલને મંજૂરી આપીને આપવામાં આવેલ છૂટાછેડાનું હુકમનામું માન્ય રાખવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે વાજબી કારણ વગર જાતીય સંબંધોનો સતત ઇનકાર કરવા સહિત વૈવાહિક અધિકારોનો ઇનકાર માનસિક ક્રૂરતા ગણાય છે અને હિન્દુ લગ્ન ધારાની કલમ 13(1)(શફ) હેઠળ છૂટાછેડા માટે માન્ય આધાર છે.
ખંડપીઠે નોંધ્યું હતું કે ડિસેમ્બર 2007માં લગ્ન કરનાર પતિ અને પત્ની બંને ડોક્ટર છે અને અનુક્રમે રાજસ્થાન તથા ગુજરાતમાં સરકારી સેવા બજાવે છે. બંને 15 વર્ષથી વધુ સમયથી અલગ રહે છે, તેમના કોઈ સંતાન નથી અને અનેક પ્રયાસો છતાં સમાધાન શક્ય બન્યું નથી. બંધારણની કલમ 142 હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયા છે અને હવે તેમને જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. હાઈકોર્ટના આદેશને પડકારતી પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે 2 જૂને પોતાનો ચુકાદો આપ્યો હતો.

