અમદાવાદઃ 2008 ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે પોતાના ચૂકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. આ હુકમ બાદ આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે દાદ માંગવામાં આવી હતી અને સમય માંગવામાં આવ્યો હતો.
આરોપીઓની આ વિનંતીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પોતાના ચૂકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે, જેથી હવે આ ૩ મહિનાના સમયગાળા દરમિયાન આરોપીઓ હાઇકોર્ટે આપેલી સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદના અલગ- અલગ 20 સ્થળો પર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા અને 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી કોર્ટે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.
8 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ કોર્ટના ન્યાયાધીશ એ.આર.પટેલે કુલ 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં હતા. ત્યાર બાદ 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટે 38 દોષિતોને UAPA અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી અને 11 દોષિતોને કુદરતી મોત સુધી આજીવન કેદની સજા કરી હતી.
આ સાથે જ 48 દોષિતો પર 2.85 લાખ રૂપિયા અને એક દોષિત પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસના મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

