- 16 બ્રોકરો સહિત 23 લોકો સામે ગુનો નોંધાયો
- રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગરઃ રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર-રામેશ્વર ટાઉનશીપમાં એક મોટા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો હતો. શેરી નંબર 4, મકાન નં. 51 ખાતે દરોડા પાડીને ગેરકાયદેસર શેરબજારના ભાવના વધારા-ઘટાડા પર જુગાર રમાડતા નેટવર્કને ઝડપી પાડ્યું છે.
આ મકાન નાથુભા કાનાભા રાઠોડની માલિકીનું છે અને તેનો ભોગવટો પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ ધરાવતા હતા.
દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલભાઇ કરશનભાઇ સિંધવ, અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી, દલસુખભાઇ કરશનભાઇ સિંધવ, વિજયભાઇ ગોવિંદભાઈ દેત્રોજા તથા નાથુભા કાનાભા રાઠોડ (મકાનમાલિક)ની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, નોટબુક, વાઈ-ફાઈ ઉપકરણો, ચાર્જર અને રોકડ રકમ મળીને કુલ રૂ. 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી.સી. મિયાત્રા તથા તેમની ટીમ (પી.સી. સરતેજા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઇ ડાભી, વકારભાઈ અરબ, ફતેસંગ પરમાર, દિલીપસિહ સિંધવ અને ડ્રાઈવર ગોવીંદભાઇ રબારી) દ્વારા ખાનગી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.
આ જુગારધામમાં કપાત કરાવતા જતીન, લાલો, નિતેશ, MNT, અજય, D.R., C.C, આકાશ (બે અલગ વ્યક્તિઓ), ચિરાગ, K.P., સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત નામના 16 બ્રોકરો, સંજયસિંહ રાઠોડ (પોલીસ કર્મચારી) તેમજ પકડાયેલા 6 આરોપીઓ મળીને કુલ 23 જણા સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા નાણાંકીય વ્યવહારોનું પગેરું મેળવવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે.

