Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
108 એમ્બ્યુલન્સની કામગીરી પર ગંભીર આક્ષેપો, દર્દીના મોત બાદ સયાજીગંજ પોલીસ સુધી પહોંચ્યો મામલો

108 એમ્બ્યુલન્સની કામગીરી પર ગંભીર આક્ષેપો, દર્દીના મોત બાદ સયાજીગંજ પોલીસ સુધી પહોંચ્યો મામલો

વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના પ્રિય લક્ષ્‍મી મિલ વિસ્તારમાં એક વ્યક્તિની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરીને તાત્કાલિક મદદ માંગી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સની કામગીરી સામે ગંભીર આક્ષેપો થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચવામાં અંદાજે અડધો કલાક મોડું થયું હતું.

વધુમાં સ્થાનિકોનો દાવો છે કે એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને મહિલા સ્ટાફ (સિસ્ટર) નશાની હાલતમાં હોવાનું તેમને લાગ્યું હતું. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રથમ એમ્બ્યુલન્સ અંગે અસંતોષ વ્યક્ત કર્યા બાદ બીજી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જે બાદ બીજી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, જે વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તેનું બાદમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે 108 સ્ટાફની કથિત બેદરકારી અને વિલંબના કારણે દર્દીને સમયસર સારવાર મળી ન શકી. જોકે, દર્દીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી.

આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે ઘટનાની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો જરૂરી બનશે તો સંબંધિત વિભાગના અહેવાલ અને અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati