Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
17 વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ નિવૃત્ત જવાન મનોજભાઈ પરમારનું, રતનવાવ ગામે ભવ્ય સ્વાગત

17 વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ નિવૃત્ત જવાન મનોજભાઈ પરમારનું, રતનવાવ ગામે ભવ્ય સ્વાગત

ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રતનવાવ ગામના વતની અને ભારતીય સેનામાં 17 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર નિવૃત્ત જવાન મનોજભાઈ પરમારનું વતન પરત ફરતાં ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશસેવાની ભાવનાને સન્માન આપવા સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

ગામના પ્રવેશદ્વારથી જ મનોજભાઈ પરમારનું ફૂલહાર પહેરાવી, ઢોલ-નગારાના તાલે અને ભારત માતાના જયઘોષ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.દેશની સરહદ પર રહીને સૈનિકો જે ત્યાગ અને સમર્પણથી દેશની સુરક્ષા કરે છે, તે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. આવા જવાનોનું સન્માન કરીને નવી પેઢીમાં પણ દેશપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસે છે.

આ પ્રસંગે ગામના અગ્રણી ઘનશ્યામભાઈ નાવડિયાએ નિવૃત્ત જવાન મનોજભાઈ પરમારને કાર ભેટમાં આપી તેમની લાંબી અને સમર્પિત સેવાને અનોખી રીતે બિરદાવી હતી. આ સન્માનથી મનોજભાઈ ભાવુક બન્યા હતા અને તેમણે ગામલોકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશસેવા તેમના જીવનનું સૌથી મોટું ગૌરવ છે.

કાર્યક્રમમાં ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત જવાનનું તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati