
જામનગર, 02 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં એક રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની કુલ રૂ.2.77 લાખની ચોરી થયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી જ્યોતિબેન હરીશભાઈ મકવાણા (ઉં. 40, રહે. મહાવીરનગર, નિલકંઠ સ્કૂલ સામે, વૃંદાવન એપાર્ટમેન્ટ, રણજીતસાગર રોડ, જામનગર) જે જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.
જેઓની ફરિયાદ મુજબ, તેમણે પોતાના ઘરના લાકડાના કબાટના ડ્રોઅરમાં રોકડ રૂ.70,000, બે સોનાના ચેન (કુલ અંદાજે 15 ગ્રામ, કિંમત રૂ.1.50 લાખ), એક મંગળસૂત્ર (આશરે 4 ગ્રામ સોના, કિંમત રૂ. 50 હજાર) તેમજ એક ચાંદીની પોચી (કિંમત રૂ. 7 હજાર) રાખ્યા હતા.
પરિવારના સભ્યો નોકરીએ જતા, તેમજ ઘરનો દરવાજો ક્યારેક ખુલ્લો રહેતો હોવાથી કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ્યો હોવાની શંકા છે. ફરિયાદી તા.27/06/2026ના રોજ બેંકમાં જમા કરાવવા માટે રૂપિયા લેવા કબાટ ખોલતા રોકડ તથા દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
પરિવારજનો સાથે તપાસ કર્યા છતાં મુદ્દામાલ મળી આવ્યો ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(3) હેઠળ અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

