
અમરેલી,07 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભાથી નાગેશ્રી જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સતત વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે ડાયવર્ઝનને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી તંત્રે સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર અવરજવર અટકાવી દીધી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.
માર્ગ બંધ થતાં ખાંભા અને નાગેશ્રી વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા તૂટેલા ડાયવર્ઝનની મરામત માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગને શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પાણીનું સ્તર ઘટતાં જ સમારકામમાં વધુ ઝડપ લાવવામાં આવશે.
વહીવટી તંત્રે લોકોને બંધ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા, જોખમી વિસ્તારોમાં અવરજવર ટાળવા તેમજ માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સતત વરસાદને કારણે જિલ્લાના અન્ય માર્ગો પર પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

