Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ

- પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગર, 07 જુલાઈ (હિ.સ.) : સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રી વાઘાણીએ ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિ, વહીવટી તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક સાંસદઓ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ અને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પોતાના એક્શન પ્લાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો. ખાસ કરીને ડેમોની સલામતી અને ઓવરફ્લો સ્થિતિ પર સતત નજર રાખવા તેમણે વહીવટી તંત્રને સૂચના આપી હતી.

ભારે વરસાદને કારણે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો કે રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા મંત્રીશ્રીએ આદેશ આપ્યા છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે, ફરી એકવાર ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ચકાસણી કરીને હજુ પણ ક્યાંય આવા જોખમી એકમો રહી ગયા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી.

સંભવિત રોગચાળો અટકાવવા માટે ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરાઈ છે. સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેવા તેમજ જરૂર પડે લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા રાખવા કલેક્ટરશ્રીઓને આદેશ આપવામાં આવ્યા છે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, વહીવટી તંત્રના તમામ વિભાગો પરસ્પર સંકલન જાળવીને કામ કરી રહ્યા છે. ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જનતાને પણ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

* અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 42 ટકાથી પણ વધુ છે. જેમાં, છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

* આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે અમરેલીમાં હાલમાં 2 NDRFની ટીમો તૈનાત છે.

* અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 76 નાગરિકને રેસ્ક્યુ અને 641 નાગરિકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

* અમરેલીમાં ભારે વરસાદના કારણે રાજ્ય હસ્તકના કુલ 25 જેટલા રસ્તાઓ બંધ થયા હતા, જેમાંથી 19 રસ્તાઓને હાલ પૂર્વવત કરવામાં આવ્યા છે.

* અમરેલીનો ધાતરવડી (100% ભરાયેલો), સુરજવાડી (100% ભરાયેલો), ખોડીયાર (96% ભરાયેલો) અને રાયડી (95% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે, ધાતરવાડી-2(89% ભરાયેલો) એલર્ટ પર અને શેલ-દેદુમલ (78% ભરાયેલો) ડેમને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.

* ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 30 ટકાથી પણ વધુ છે. જેમાં, છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

* આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે ભાવનગરમાં હાલમાં 1 NDRFની ટીમ તૈનાત છે.

* ભારે તથા અતિભારે વરસાદ દરમિયાન રેસ્ક્યુ અથવા સ્થળાંતર કરાયેલા નાગરિકોને રહેવા માટે જિલ્લામાં કુલ 982 આશ્રય સ્થળો નિયત કરવામાં આવ્યા છે.

* જિલ્લામાં કુલ 859 આપદા મિત્રોને બચાવ-રાહતની તાલીમ આપવામાં આવી છે.

* મહુવા તાલુકાના ઓથા ગામે માલણ નદીમાં પાણીના વધુ પ્રવાહમાં અમદાવાદના 8 નાગરિકો કાર સાથે તણાયા હતા, જે તમામ વ્યક્તિને રેસ્ક્યુ કરી સુરક્ષિત કરાયા છે.

* જિલ્લામાં રાજ્ય હસ્તકના તમામ 74 રસ્તાઓ ચાલુ છે. જ્યારે, પંચાયત હસ્તકના 918 રસ્તાઓ પૈકી ૭ રસ્તાઓ બંધ છે. જેમાંથી, ૬ રસ્તાઓને ડાયવર્ઝન અને એક રસ્તાને વૈકલ્પિક રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે.

* ભાવનગરનો માલણ (100% ભરાયેલો), શેત્રુંજી (100% ભરાયેલો), રોજકી (98% ભરાયેલો) અને રંઘોળા (96% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

* રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 18 ટકાથી વધુ છે. જેમાં, છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

* આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે રાજકોટમાં હાલમાં 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત છે.

* રાજકોટના વેણુ-2 (76% ભરાયેલો) તથા આજી-2 (73% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

* કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં સુદ્રઢ સંકલન માટે દરેક તાલુકામાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

* આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati