Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શાળાએ ન આવતા બાળકોને ઢોલના તાલે આવકારવા શિક્ષકો પહોંચ્યા ઘરે, શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અનોખો પ્રયાસ

શાળાએ ન આવતા બાળકોને ઢોલના તાલે આવકારવા શિક્ષકો પહોંચ્યા ઘરે, શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અનોખો પ્રયાસ

ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.)પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાએ શાળાએ નિયમિત હાજરી ન આપતા અને પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેતા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. શાળાના આચાર્ય બી. એ. વાળા તથા શિક્ષકો સી. એમ. ધંધુકિયા, પી. ડી. જાની અને પી. સી. બાબરીયાએ ગામમાં ઘરે-ઘરે જઈ બાળકો અને તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

વારંવાર સમજાવટ છતાં કેટલાક બાળકો શાળાએ આવતા ન હોવાથી શિક્ષકોએ આ વખતે નવી રીત અપનાવી હતી. ગામના ગોહિલ બળુભાઈએ ઢોલ વગાડીને બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અને શાળાએ આવવા માટે પ્રેરિત કર્યા. ઢોલના તાલે શિક્ષકો બાળકોના ઘરે પહોંચતા ગામમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. બાળકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો અને અનેક બાળકો શાળામાં નિયમિત આવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આચાર્ય અને શિક્ષકોએ વાલીઓને જણાવ્યું કે ૬ થી ૧૪ વર્ષના દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણ અત્યંત જરૂરી છે. શિક્ષણ માત્ર ભવિષ્ય ઘડવાનું સાધન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર પણ છે. તેથી દરેક વાલીએ પોતાના બાળકને નિયમિત શાળાએ મોકલવો જોઈએ.

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાનો આ નવતર પ્રયોગ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અસરકારક સાબિત થઈ રહ્યો છે. શિક્ષકોની આ નિષ્ઠા અને સમર્પણને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે. શાળાનો મુખ્ય હેતુ ૬ થી ૧૪ વર્ષના ૧૦૦ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે છે. આ પહેલ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati