Ambedkar Jayanti 2026: ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના સન્માનમાં ગુંજતો 'જય ભીમ, જય ભારત'નો નારો આજે માત્ર એક અભિવાદન નથી, પરંતુ સમાનતા, અધિકાર અને બંધારણ પ્રત્યેના સન્માનની એક મોટી ઓળખ બની ગયો છે. દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે આ નારો દેશના ખૂણે-ખૂણે સાંભળવા મળે છે.
નારાનો અર્થ અને મહત્વ
આ નારો બે ભાગમાં વહેંચાયેલો છે.
‘જય ભીમ’ એટલે ડૉ. આંબેડકરના વિચારો અને તેમના માર્ગની જીત. જ્યારે તેની સાથે ‘જય ભારત’ જોડાય છે, ત્યારે તે ડૉ. આંબેડકર પ્રત્યેના સન્માનની સાથે દેશ પ્રત્યેના જોડાણ અને દેશપ્રેમનો સંદેશ આપે છે. તે દર્શાવે છે કે આંબેડકરવાદ અને રાષ્ટ્રવાદ એકબીજાથી અલગ નથી.
'જય ભીમ' સૌપ્રથમ કોણે કહ્યું હતું?
ઐતિહાસિક અહેવાલો મુજબ, 'જય ભીમ' નારો આપવાનો શ્રેય બાબુ એલ. એન. હરદાસ (લક્ષ્મણ નગરાળે) ને જાય છે. તેમણે 1935 માં આ નારાની શરૂઆત કરી હતી. જોકે, કેટલાક લોકો આ નારાને 1818 ના ભીમા-કોરેગાંવના યુદ્ધ સાથે પણ જોડે છે, પરંતુ વ્યવહારિક રીતે બાબુ હરદાસનો સંદર્ભ જ સૌથી વધુ સચોટ અને પાયાનો માનવામાં આવે છે.
'જય ભારત' કઈ રીતે જોડાયું?
'જય ભીમ' ની સાથે 'જય ભારત' જોડવાથી આ નારો વધુ વ્યાપક બન્યો. તે એવો સંદેશ આપે છે કે અમે બાબાસાહેબના વિચારો સાથે પણ છીએ અને ભારત દેશની સાથે પણ. આ જોડાણ ઉત્તર ભારતની રાજનીતિ અને જનસભાઓમાં ઘણું લોકપ્રિય થયું છે. BSP પ્રમુખ માયાવતી પણ પોતાના ભાષણનો અંત અવારનવાર ‘જય ભીમ, જય ભારત’ થી કરે છે, જેણે આ સંયુક્ત નારાને જન-જન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.
આજના સમયમાં નારાનો સંદેશ
આજે પણ જ્યારે જાતિ કે તકોના આધારે અસમાનતા જોવા મળે છે, ત્યારે આ નારો યાદ અપાવે છે કે બંધારણ દરેક માટે સમાન છે. 'જય ભીમ, જય ભારત' માત્ર શબ્દો નથી, પણ એક વિચારધારા છે જે ડૉ. આંબેડકરના આદર્શો અને ભારતની લોકતાંત્રિક આત્માને સલામ કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

