Ahmedabad Asaram Ashram demolition: અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન પર બનેલા લંપટ આસારામના આશ્રમ પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર બાંધકામો કરાયા હોવાથી તંત્ર દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ભાગ તોડાયો
મળતી વિગતો મુજબ, વહીવટી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આસારામ આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ગેરકાયદેસર અને દબાણ પૂર્વક બનાવેલો ભાગ તોડી પાડ્યો હતો. આશ્રમ દ્વારા સરકારી અને કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને આ બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો ભાગ તોડાયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે કરવામાં આવેલી આ કામગીરી તો માત્ર એક શરૂઆત છે. આશ્રમ પરિસરમાં સરકારી જમીન પર થયેલા અન્ય મોટા ગેરકાયદેસર શેડ અને પાકા બાંધકામોને હટાવવા માટે આગામી દિવસોમાં તંત્ર દ્વારા એક બહુ મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે.

