Bhavnagar Municipal Corporation Cattle Registration & License Rules: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતાં અને અસ્થાયી પશુઓના ત્રાસને અટકાવવા માટે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપાએ "પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા" હેઠળ તમામ પશુપાલકો માટે પશુઓની નોંધણી કરાવીને સત્તાવાર લાયસન્સ મેળવવાનું ફરજિયાત બનાવ્યું છે.
ચોમાસાની વર્તમાન ઋતુ દરમિયાન નાગરિકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે.
6 ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર મનપા સીમામાં નિયમો લાગુ
મહાનગરપાલિકાના આ કડક આદેશો માત્ર શહેર પૂરતા સીમિત ન રહેતાં, મનપા હસ્તક આવતા રૂવા, અકવાડા, અધેવાડા, નારી, તરસમીયા અને સિદસર જેવા 6 ગામોના તમામ પશુપાલકોને પણ સમાન રીતે લાગુ પડશે. તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે મહાનગરપાલિકાની વહિવટી સરહદમાં આવતા તમામ પશુઓની નોંધણી કરાવી લેવી અનિવાર્ય છે અને લાયસન્સ વગર પશુઓ રાખવા પર કાનૂની મનાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એક લાયસન્સની આડમાં અનેક પશુઓ રાખવાનું કૌભાંડ
તંત્રના ધ્યાન પર આવ્યું છે કે હજુ સુધી અનેક પશુમાલિકોએ પોતાના પશુઓની નોંધણી કરાવી નથી. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં માત્ર 1 પશુનું લાયસન્સ મેળવી તેની આડમાં 1 કરતાં વધુ પશુઓ રાખવામાં આવતા હોવાનું ખુલ્લું પડ્યું છે. આ પ્રકારની ગંભીર બેદરકારી સામે મનપાએ હવે આર-પારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વગર રજિસ્ટ્રેશનવાળા પશુઓ ઘરેથી જપ્ત કરાશે
મહાનગરપાલિકાએ પશુમાલિકોને આખરી તાકીદ કરી છે કે જો પશુનું રજીસ્ટ્રેશન નહીં થયેલું હોય, તો તેવા પશુઓને સીધા માલિકના ઘરેથી જ જપ્ત કરી લેવામાં આવશે અને તેમને કોઈ પણ સંજોગોમાં મુક્ત કરવામાં આવશે નહીં. આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો વેપારીઓ કે પશુપાલકો નિયમોનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં વધુ આક્રમક દંડાત્મક પગલાં ભરવામાં આવશે.
