Rajkot Crime News: રંગીલું રાજકોટ છેલ્લા થોડા દિવસોથી ગુનાખોરીના ગ્રાફને કારણે ધ્રુજી ઉઠ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક સનસનાટીભરી હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા શિવાલિક એપાર્ટમેન્ટના પ્રથમ માળે, ફ્લેટ નંબર 102માં આજે સવારના સમયે એક પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
અહીં રહેતા અલ્તાફભાઈ લાલાણી નામના શખ્સે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને પોતાની 40 વર્ષીય પત્ની શિલ્પાબેન લાલાણી પર હથોડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. માથાના ભાગે હથોડીના ઉપરાછાપરી ઘા વાગવાના કારણે પરિણીતા લોહીલુહાણ થઈને ઢળી પડી હતી.
તબીબોએ પરિણીતાને મૃત જાહેર કરી, આરોપી પતિ ફરાર
ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પત્નીના મોતના સમાચાર મળતા જ હુમલો કરનાર પતિ અલ્તાફ લાલાણી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે તુરંત યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ શરૂ
એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બીજી હત્યા થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ઘટનાની ગંભીરતાને જોતા DCP ઝોન-2 રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ ACP આર.એસ. બારીઆ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ક્રાઈમ સીન પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર આરોપી પતિને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
યુનિવર્સિટી પોલીસ હદમાં 4 દિવસમાં જ બીજો લોહિયાળ ખેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરીનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત 25 મેના રોજ જ રામાપીર ચોક પાસે આવેલા શાસ્ત્રીનગરમાં એક નરાધમ પૌત્ર મોહિત મિયાત્રાએ તેના સગા દાદા અરજણભાઈની માથામાં બોથડ પદાર્થ મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ ચકચારી કેસમાં પોલીસે આરોપી પૌત્રને જેલભેગો કર્યો જ હતો, ત્યાં જ આજે 29 મેના રોજ ફરી એ જ પોલીસ સ્ટેશનની હદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ભારતની મેજર અભિલાષા બરાકને મળશે UNનું મોટું સન્માન, 2 શહીદ જવાનોને પણ અપાશે સર્વોચ્ચ મેડલ

