Gujarat Housing Scheme: ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મૂળ હપ્તાની બાકી રકમ પર લાગેલા દંડનીય વ્યાજમાં 100 ટકા માફી આપવાની યોજનાની મુદત હવે 31 જાન્યુઆરી, 2027 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી EWS, LIG, MIG સહિતની વિવિધ આવાસ યોજનાઓના બાકીદારોને મોટી રાહત મળશે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત EWS, LIG, MIG, હરીફાઈ અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં 100 ટકા માફી આપવાની યોજના મંજૂર કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં 2,988 લાભાર્થીઓને મળ્યો લાભ
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના જણાવ્યા અનુસાર યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએ કુલ 22 વસૂલાત કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પો મારફતે કુલ 2,988 લાભાર્થીઓએ મુદલની રકમ પેટે રૂ. 10.57 કરોડની ચૂકવણી કરી હતી. આ લાભાર્થીઓને કુલ રૂ. 39.51 કરોડ જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મળ્યો છે. સાથે જ તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે.
31 જાન્યુઆરી 2027 સુધી મળશે તક
નાગરિકો અને લાભાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ દંડનીય વ્યાજમાફી યોજનાની મુદત 31 જાન્યુઆરી, 2027 સુધી લંબાવી છે. બોર્ડ દ્વારા સંબંધિત લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી હપ્તા અને તેના પરના દંડનીય વ્યાજનો સામનો કરતા હજારો પરિવારોને આર્થિક રાહત મળવાની શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાવધાન: આગામી 6 દિવસ દેશભરમાં વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યમાં એલર્ટ
