Team India Next Captain: ભારતીય ક્રિકેટ ટીમમાં ભવિષ્યના કેપ્ટનને લઈને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે એક મોટું નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. પોન્ટિંગનું માનવું છે કે વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પછી જો કોઈ ખેલાડી ભારતીય T20 ટીમની કમાન્ડ સંભાળવા માટે પરફેક્ટ હોય, તો તે શ્રેયસ અય્યર છે.
હાલમાં જ ભારતને T20 વર્લ્ડ કપ 2026 જીતાડનારો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને ચાલુ IPL 2026 માં પણ તેનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. આ સ્થિતિ વચ્ચે ભારતના આગામી કેપ્ટન કોણ બનશે તેને લઈને ક્રિકેટ ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શ્રેયસ પહેલા કરતાં ઘણો મેચ્યોર પ્લેયર બન્યો: પોન્ટિંગ
PTI સાથેની ખાસ વાતચીતમાં રિકી પોન્ટિંગે જણાવ્યું કે, “શ્રેયસ અય્યર અત્યારે પોતાના કરિયર અને પર્સનાલિટી બંનેના બેસ્ટ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. તે પહેલા કરતાં વધુ મેચ્યોર ખેલાડી બની ચૂક્યો છે અને ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાય છે.”
IPL 2026 માં પંજાબ કિંગ્સની શરૂઆત શાનદાર રહી હતી અને શરૂઆતની મેચોમાં આક્રમક ક્રિકેટ રમીને ટીમે ઘણા રેકોર્ડ તોડ્યા હતા, જેના કારણે શ્રેયસની કેપ્ટન્સીના ખૂબ વખાણ થયા હતા. જોકે, ત્યારબાદ ટીમ સતત 6 મેચ હારી ગઈ, જેથી પ્લેઓફની રેસ મુશ્કેલ બની છે. આમ છતાં, પોન્ટિંગને પોતાના કેપ્ટન પર પૂરો ભરોસો છે. પંજાબની આગામી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે, જે 'કરો યા મરો' જેવી રહેશે.
શ્રેયસનું ટીમમાંથી બહાર હોવું આશ્ચર્યજનક: કેપ્ટન્સીનો શાનદાર રેકોર્ડ
પોન્ટિંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, “જ્યારે પણ ભારતીય ટીમની જાહેરાત થાય છે અને તેમાં શ્રેયસનું નામ નથી હોતું, ત્યારે મને નવાઈ લાગે છે.” તેનો કેપ્ટન્સી રેકોર્ડ પણ અદભુત રહ્યો છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આઈપીએલ ટ્રોફી જીતાડી આપી હતી અને હવે પંજાબ કિંગ્સ સાથેની પોતાની પહેલી જ સીઝનમાં ટીમને 11 વર્ષ પછી ફાઇનલનો રસ્તો બતાવ્યો છે. પોન્ટિંગના મતે આ IPL પૂરી થયા બાદ સિલેક્ટર્સ શ્રેયસને માત્ર ટીમમાં વાપસી માટે જ નહીં, પણ કેપ્ટન્સીના ઓપ્શન તરીકે પણ જરૂર જોશે.
સોશિયલ મીડિયાની આલોચનાથી ડ્રેસિંગ રૂમ પર કોઈ અસર નહીં
પંજાબ કિંગ્સના ખરાબ ફોર્મના કારણે સોશિયલ મીડિયા પર ટીમની ઘણી ટીકાઓ થઈ રહી છે, જેના પર પોન્ટિંગે સ્પષ્ટ કર્યું કે ડ્રેસિંગ રૂમની અંદર આ વાતોની કોઈ અસર થતી નથી. સોશિયલ મીડિયા પર નાની વાતો મોટી ન્યૂઝ બની જાય છે, પરંતુ ટીમનો પૂરો ફોકસ આગામી મેચ જીતવા પર છે. આરસીબી સામેની હાર બાદ પંજાબની ટીમ દિલ્હી થઈને લખનૌ જવા રવાના થશે. પોન્ટિંગે પ્લેયર્સને થોડો બ્રેક આપ્યો છે અને કહ્યું છે કે ટીમે ફરી એ જ નીડર (Fearless) ક્રિકેટ રમવું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

