ગુજરાતમાં પાસપોર્ટ માટે એપ્લાય કરનારા લોકોએ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, રાજ્યના ડીજીપી જી.એસ. મલિકે પોલીસ ક્લીયરન્સની પ્રોસેસને સરળ બનાવવા માટે આ અંગે સૂચના આપી છે. પોલીસ વડાએ આપેલા નિર્દેશ અનુસાર હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે એપ્લિકન્ટને પોલીસ સ્ટેશને નહીં બોલાવી શકે. તેના બદલે હવે વેરિફિકેશન પ્રોસસ માત્ર એપ્લિકન્ટની સિટીઝનશિપ તેમજ તેનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે કે કેમ તે ચેક કરવા પૂરતી જ મર્યાદિત રહેશે.
DGPએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે એપ્લિકન્ટના રેસિડેન્શિયલ એડ્રેસનું ફિઝિકલ વેરિફિકેશન કરવાની પણ કોઈ જરૂરિયાત નથી. આ પ્રક્રિયા દરમિયાન એપ્લિકન્ટને રૂબરૂ ના મળવું તેમજ તેમની સહી ના લેવી તેવું પણ DGP મલિકે જણાવ્યું છે.
જે એપ્લિકન્ટની પ્રોફાઈલ શંકાસ્પદ હશે કે પછી જેનું એડિશનલ વેરિફિકેશન કરવું જરૂરી હશે તેવા કેસમાં જ ફિલ્ડ વિઝિટ કરવામા આવશે, મતલબ કે પોલીસ એપ્લિકન્ટના એડ્રેસ પર રૂબરૂ જઈને વેરિફિકેશન કરશે. જોકે, આવા કેસમાં પણ એપ્લિકન્ટને પોલીસ સ્ટેશન આવવા માટે નહીં કહી શકાય. આ પ્રક્રિયાનો હેતુ પાસપોર્ટ મેળવવા માટે લોકોને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવાની સાથે તેના માટે થતાં પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર્સ અને એસપીની સાથે વેરિફિકેશનની સાથે સંકળાયેલા અધિકારીઓને નવી સૂચનાનું સમગ્ર રાજ્યમાં પાલન કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યની પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે તેઓ નવી પ્રોસેસથી માહિતગાર બને અને તેના માટે પોલીસ સ્ટેશન જવાનું ટાળે.
જીએસ મલિક અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે પણ તેમણે દરેક પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર્સને તાકીદ કરી હતી કે પાસપોર્ટ વેરિફિકેશન માટે એપ્લિકન્ટને પોલીસ સ્ટેશન બોલાવવાને બદલે સ્ટાફને જરૂર હોય તો તેના એડ્રેસ પર મોકલવો. ઉલ્લેખનીય છે કે, જે-તે સમયે પાસપોર્ટ માટે એપ્લાય કરનારા લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા અને તેમને સાક્ષીઓને પણ સાથે લઈને આવવા માટે જણાવાતું હતું. જેના કારણે લોકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા પડતા હતા અને ભારે અગવડનો સામનો કરવો પડતો હતો. આ પહેલા નવેમ્બર 2023માં રાજ્યના તત્કાલિન લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શમશેર સિંઘે એક સર્ક્યુલર બહાર પાડીને દરેક પોલીસ સ્ટેશનને નિર્દેશ આપ્યો હતો કે વેરિફિકેશન માટે કોઈપણ પાસપોર્ટ એપ્લિકન્ટને પોલીસ સ્ટેશન ના બોલાવવા અને એપ્લિકન્ટનું બેકગ્રાઉન્ડ ચેક કરવાની જવાબદારી લાગતાવળગતા પોલીસ અધિકારીની રહેશે.
અગાઉ પોલીસ વેરિફિકેશન વખતે જો એપ્લિકન્ટ ઘરે હાજર ના હોય તો તેની એપ્લિકેશન પણ અટવાઈ જતી હતી અને ઘણા કેસમાં રિજેક્શન પણ આવતું હતું, આ ઉપરાંત પોલીસ વેરિફિકેશનના નામે પૈસા પડાવવામાં આવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો થતાં 2023માં આ પ્રોસેસમાં ફેરફાર કરવા માટે સર્ક્યુલર ઈશ્યૂ કરાયો હતો. જોકે, હવે 2026માં ફરી હાલના પોલીસ વડાએ લોકોને કોઈ અસુવિધા ના થાય તેમજ પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે અને તેમનો પાસપોર્ટ જલ્દી ઈશ્યૂ થઈ જાય તે માટે નવેસરથી આ અંગે તાકીદ કરી છે.

