'ભક્તોની અતૂટ શ્રદ્ધા સામે સુવિધાઓ વામણી, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાથી ભાવિકો પરેશાન'
શક્તિપીઠ સમા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. ડુંગરવાળી ચામુંડા માતાજીના દર્શનાર્થે ગત રાત્રીથી જ ભક્તોની અવિરત હેલી જોવા મળી હતી. એક અંદાજ મુજબ 5 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જોકે, અભૂતપૂર્વ ભીડને કારણે અનેક વિભાગની ઉણપો જોવા મળેલ હતી.
ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, ગાંધીનગર, દેહગામ અને મહેસાણા પંથકમાંથી હજારો પદયાત્રીઓ સંઘ સાથે ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત આંતરરાજ્ય ભક્તોની પણ મોટી સંખ્યા જોવા મળી હતી. ભીડ એટલી પ્રચંડ હતી કે ડુંગરના પગથિયાં પણ ટૂંકા પડ્યા હતા. દર્શનની આતુરતામાં અનેક ભાવિકોએ પગથિયા ને બદલે આડા સાઇડ ના રસ્તે ડુંગર ચઢવાનું શરૂ કરી તંત્રને લાલબત્તી ધરી હતી.
આ અંગે મહંત પરિવારના મનસુખગિરિ ગોસ્વામી અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.હાલ ડુંગરે ફ્યુનિક્યુલર સિસ્ટમનું જે કામ ચાલું છે તે રૂટ નો યાત્રિકોએ ચાલવા માટે ઉપયોગ કર્યો હતો. પગથિયા પાસેના ચોક માં રહેલ ખાણીપીણી હોટલો ના દબાણો થી રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે. તે વાત પણ પ્રશાસને ધ્યાનમાં લેવી જોઈએ. અત્યારે આટલું ટ્રાફિક થાય છે તો 5 કે 10 વર્ષ પછી આનાથી પણ વધારે ટ્રાફિક થાશે તો તે મુજબ અત્યાર થી જ તે દિશામાં સરકાર એ વિચારવું જોઈએ અને આ હોટેલો - કોમ્પ્લેક્ષો ને અન્ય વૈકલ્પિક જગ્યાએ પાળીયાદ રોડ પર ફેરવવા જોઈએ.
અમદાવાદ ચોટીલા હાઈવે પર અવિરત આવતા પદયાત્રા સંઘ ના પ્રવાહ અને વાહનોની કતારોથી દોઢ કિલોમીટરનું અંતર કાપતા વાહનોને 40 મિનિટ જેટલો સમય લાગતો હતો જે પરિસ્થિતિ એ મોડી રાત્રી થી બપોર સુધી અનેક લોકોએ ટ્રાફિક જામ ની યાતના વેઠી હતી. તળેટી વિસ્તારના બે પાર્કિંગ, હોટલના ગ્રાઉંડ, ખુલ્લી જગ્યામાં વાહન પાર્કિંગ પણ હાઉસફૂલ હાઈવે પર દૂર-દૂર સુધી વાહનોના થપ્પા જામ્યાં જેથી પાર્કિંગ વ્યવસ્થા વામણી દેખાતી હતી લોકો એ પોતાના ખાનગી વાહનો સરકારી હોસ્પિટલ અને પીક અપ બસ સ્ટેન્ડમાં પાર્ક કરતા સામાન્ય નાગરીકો માટે દુવિધા ઉભી કરી હતી. પુરતા ચુસ્ત બંદોબસ્ત અને સંપૂર્ણ આયોજનના દાવા અને ચૈત્રી પૂનમની વાસ્તવિકતા વચ્ચે મોટૂં અંતર જોવા મળેલ છે.

