કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતીની બેઠક મળી
ગીર સોમનાથ જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 34મી બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજના ની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર એ જિલ્લામાં વાસ્મો અંતર્ગત મંજૂર થયેલ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને અધ્યક્ષસ્થાનેથી તાલાલા તાલુકાના માધુપુર-જાંબુર ગામ ની યોજના રકમ રૂ.34.23 લાખના વહિવટી કામોની મંજૂરી આપવામાં આવી હતી.
વેરાવળ તાલુકાના ચમોડા ગામે કુવા માટે પમ્પીંગ મશીનની તેમજ સુત્રાપાડા તાલુકાના આંણદપરા ગામ બોર અને પમ્પીંગ મશીનરીના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લામાં આવેલ જર્જરિત અને બિન ઉપયોગી ઉંચી ટાંકીઓ સત્વરે ઉતારી પાડવાની જરૂરી સૂચના સાથે સખી મંડળ અને સહકારી મંડળીઓ દ્વારા ગામોની આંતરિક પીવાના પાણીની યોજના ઓ સુચારુ રીતે ચાલે તે માટે મરામત અને નિભાવણી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ આંતરિક પાણી પુરવઠા યોજનામાં નિયમિત ક્લોરીનેશન કરવામાં આવે તથા સમયાંતરે પાણીની ગુણવત્તા ચકાસવા અને ચોમાસામાં ગામડાઓમાં પીવાનું શુદ્ર પાણી મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને કલેક્ટર એ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, વેરાવળ અને ઉનાના પ્રાંત અધિકારી, વાસ્મો યુનિટ મેનેજર વિશાલ કુમાર ભાટુ તથા જિલ્લા સંયોજક અલ્કાબેન મકવાણા તેમજ જિલ્લા જળ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

