પાર્થિવ દેહ વતન લવાયો : પરિવારમાં શોક
બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રાએ ગયેલા જામનગરના રહેવાસી પ્રવીણભાઈ પરમાર (ઉં. 61)નું યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતાં અવસાન થયું છે. તેઓ તા. 30 જૂન ના રોજ જામનગર થી અમરનાથ યાત્રા ના પ્રથમ જથ્થા સાથે રવાના થયા હતા. પવિત્ર અમરનાથ ગુફા થી આશરે 3 થી 4 કિલોમીટર દૂર આવેલી કાલી માતાજી ના મંદિર નજીક તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
પ્રવીણભાઈ પરમાર સૌપ્રથમ તા. 1 જુલાઈ ના જમ્મુ ખાતે રોકાયા હતા. ત્યારબાદ તા. 2 જુલાઈ એ શ્રીનગર પહોંચ્યા અને તા. 3 જુલાઈ એ બાલતાલ બેઝ કેમ્પ ખાતે પહોંચ્યા હતા. તા. 4 જુલાઈ ના રોજ તેમણે બાલતાલ રૂટ પર થી પવિત્ર અમરનાથ ગુફા તરફની યાત્રા શરૂ કરી હતી. યાત્રા દરમિયાન કાલી માતાજીના મંદિર નજીક તેમની તબિયત અચાનક બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ શ્રાઇન બોર્ડના અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ તાત્કાલિક તેમને નજીકના મેડિકલ કેમ્પમાં ખસેડી પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, ડોક્ટરો ના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શક્યા ન હોતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
નિધન બાદ તેમના પાર્થિવ દેહને સૌપ્રથમ સોનમર્ગ લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ શ્રીનગર એરપોર્ટ થી હવાઈ માર્ગે દિલ્હી અને ત્યાં થી વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. વડોદરા થી એમ્બ્યુલન્સ મારફતે તેમનો પાર્થિવ દેહ જામનગર લાવવામાં આવ્યો હતો.
અમરનાથ યાત્રા દરમિયાન બનેલી આ દુ:ખદ ઘટનાથી જામનગર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારજનો, સગા-સંબંધીઓ અને યાત્રાળુઓએ પ્રવીણભાઈ પરમારના અવસાન પર ઊંડી શોકભાવના વ્યક્ત કરી છે.

